Thursday 15 December 2016

એ ઇનટરનેસનલ લિટ્ટી-ચોખા...

પ્રકૃતિ અને પરિસ્થિતિ એ કોઇ પણ પ્રદેશના ખોરાક પર ખાસ અસર કરવાની જ! 'કાઠિયાવાડી થાળી' અને એની 'મોંઘેરી મહેમાનગતિ' પાછળ પણ આ જ કારણો જવાબદાર હોવા જોઇએ! અહીં પહેલાથી જ પાણીની અછત અને એ અછતે અહીંના લોકજીવનમાં અભાવસર્જ્યો. અભાવોમા ઉછરેલી પ્રજામાં ઉદારી આપમેળે આવી જતી હોય છે. ભાર દઇને ભોજન કરાવવાની કાઠિયાવાડી સંસ્કૃતિપાછળ આ અભાવ એવી રીતે કામ કરી ગયો હોવો જોઇએ કે એક તો ઘરે આવેલો મહેમાન અછતનો માર્યો ક્યાંક ભૂખ્યો ના હોય કે ક્યાંક ઘરની અછત એ કળી ના જાય એવી ભાવના વિકસી. આ ભાવનાએ ગળાના સમદઇ-દઇને એક રોટલો વધુ ખવડાવવાની ખાનદાની જન્માવી. સાવ ઓછી વસ્તુઓ અને સસ્તા ધાનથી તૈયાર થતી કાઠિયાવાડી થાળીપાછળ પણ આ જ અછત કામ કરી ગઇ હોવી જોઇએ. ને આવી જ અછતની યાદ ત્યારે આવે કે જયારે દિલ્હીમાં તમે ઘી-માખણ અને મરી-મસાલાથી ભરપુર પંજાબી અને મુઘલાઇ ડેલિકસીઝ્ વચ્ચે સાવ સસ્તી અને સાવ સાદી પણ એટલી સ્વાદિષ્ટ બિહારી લિટ્ટી-ચોખાને ચાખો. ઓફિસની બહાર માત્ર 20 રુપિયામાં મળતી લિટ્ટી-ચોખાની એક પ્લેટ પેટ ભરવા ઇનફ છે. બાટી જેવી દેખાતી અને અંદરથી સત્તુ ભરેલી લિટ્ટી અને રિંગણના ઓળો કે મેસ પોટેટોની યાદ અપાવતા ચોખા સાથે ડુંગળી અને લીલા મરચાની ચટણી... બસ! આટલું જ! બપોરે આ લિટ્ટી-ચોખ્ખા ખાઇ બાપડા બિહારીઓ આખો દિવસ સાઇકલ રીક્ષાને ખેંચ્યા કરે...ભોજપુરીયા ગીતો લલકાર્યા કરે...
  
'એ ઇનટરનેસનલ લિટ્ટી-ચોખા જે ખઇલસ ના પઇલસ ધોખા
યુપી ચાહે બિહાર મે...

ગાર દે જંડા આઇ ગઇલ હો જહાં ગઇલ સંસાર મે...'

Monday 21 November 2016

'મારા દીકરાના મારનારાઓ વિરુદ્ધ પણ મારે ફરિયાદ નથી કરવી... એ પણ કોઇ માનાં દીકરા હશે!'

(જંતર-મતર ખાતે પોતાના દીકરાને ન્યાય અપાવવા માટે ટહેલ નાખતું બચ્ચીદેવીનું બેનર)

એનું નામ બચીદેવી... ગામ મહારાષ્ટ્રનાં ચન્દ્રપુરનું ધુગ્ધુસ...બચીદેવીના જુવાનજોધ દીકરા રાહુલને ગામના જ માથાભારે શૈલેષ ગીરી, રાજેશ ચૌધરી, રવિશસિંહ, નવલેશ નિષાદ, રાકેશ ઢિઢિકાલા અને નવીને મળીને મારી નાખ્યો. બચીદેવીએ પોતાના પુત્રના હત્યારાઓ વિરુદ્ધ મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન ને છેક વડાપ્રધાન સુધી અપીલ કરી પણ કંઇ ના વળ્યું. રાહુલના હત્યારા ગામમાં રાહુલની બાઇક લઇને જ ફરી રહ્યાં છે, ખુલ્લે આમ ફરી રહ્યાં છે પણ પોલીસને ના તો હત્યારા દેખાઇ રહ્યાં છે કે ના તો બાઇક દેખાઇ રહી છે. આખરે થાકી-હારીને એક મા જંતર-મંતર ખાતે ભૂખ હડતાળે બેઠી છે, દીકરાને ન્યાય અપાવવા, પુત્રના હત્યારાઓને સજા અપાવવા... પણ ઠંડીમાં ઠરી ગયેઇ સરકારની સંવેદનશીલતા સુધી બચી દેવીની પીડ પહોંચી શકી નથી...

દેશના અંતરીયાળ વિસ્તારમાં તો આવું  બને એમા સરકાર શું કરે એવો કોઇ ફાંકો રાખે તો આ આ વાંચી લે...
(ઇન્ડિયા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ ફાતિમા નફિસ સાથે આવી રીતે વર્તી) 

એનું નામ ફાતિમા નફિસ... ગામ ઉત્તરપ્રદેશનું બદાયું... ફાતિમા નફિસનો જુવાનજોધ દીકરા નજીબનો ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી સાથે ઝઘડો થાય અને દેશના પ્રતિષ્ઠિત સંસ્થાન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં તેના પર હુમલો કરવામાં આવે. લોહીલુહાણ કરી દેવાય અને બાદમાં ગૂમ કરી દેવાય. ફાતિમાએ પોતાના પુત્રને શોધવા માટે છેક રાષ્ટ્રપતિ સુધી અપીલ કરી પણ કંઇ ના વળ્યું. નજીબ પર હુમલો કરનારા આરોપીઓ દિલ્હીમાં અને જેએનયુમાં ફરી રહ્યાં છે, ખુલ્લેઆમ ફરી રહ્યાં છે, પણ પોલીસ ના તો એમની પૂછપરછ કરી રહી છે કે ના તેમના વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવાનું મન બનાવી રહી છે. આખરે થાકી-હારીને એક મા દેશની રાજધાનીમાં અધિકારીઓના દર ખટખટાવી રહી છે. ઠેર ઠેર ટહેલ નાખી રહ છે. પણ સત્તાના મદના ને રાષ્ટ્રપ્રેમના ઘેનમાં ઘેરાયેલી સરકાર સુધી ફાતિમાના નિસાસા પહોંચી શક્યા નથી.

***

ઉપરના બે કિસ્સાઓમાં સ્થળ, સંજોગો અને સમયકાળ અલગ અલગ છે. પણ સમસ્યા એકસમાન છે. એક કિસ્સામાં એક દીકરો મારી નખાયો છે, બીજા કિસ્સામાં એક દીકરો ગૂમ કરી દેવાયો છે. પણ બન્ને કિસ્સાઓમાં મા લડત આપી રહી છે. બચીદેવી પોતાના દીકરાના હત્યારાઓને સજા અપાવવા ભૂખ હડતાળે બેઠી છે તો ફાતિમા પોતાના ગૂમ થયેલા દીકરાના ભાળમેળવા ભૂખી-તરસી દિલ્હીની ખાક છાની રહી છે.

ગત 15 ઓક્ટોબરથી દેશના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ગુમ થયેલો Mscના વિદ્યાર્થી નજીબની હજુ સુધી કોઇ ભાળ મળી નથી. યુનિવર્સિટી તંત્ર અને  દિલ્હી પોલીસ પર આ મામલે પક્ષપાતી વલણ અપનાવી હાથ પર હાથ ધરી બેસી રહેવાનો આરોપ લગાવાઇ રહ્યો છે. ત્યારે પોતાના પુત્રની ભાળ મેળવવા દિલ્હી પોલીસથી માંડી દેશના રાષ્ટ્રપતિ અને દિલ્હી-યુપીના મુખ્યપ્રધાન સુધીના દરવાજા ખખડાવી રહેલી નજીબની મા સાથે જ્યારે વાત કરી તો એક માની કકળતી આતરડી એવા કેટલાય પ્રશ્નો પૂછી બેઠી જેનો જવાબ આપવા કોઇ તૈયાર નથી.

યુનિવર્સિટી તંત્રને આ મામલે નિષ્ક્રિયા દાખવવાનો આરોપ લગાવતી નજીબની મા ફાતિમા નફિસે જણાવે છે કે જો વીસી દ્વારા યોગ્ય પગલા લેવાયો હોત તો તેમનો દીકરો આજે ગૂમ ના થયો હોત. નજીબના પરિવારજનોએ વીસીને આ મામલે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું જોકે, પોતાની કોઇ જ જબાદારી ના હોવાનું જણાવી વીસીએ આ મામલે હાથ ખંખેરી નાખ્યા હતા. આ અંગે વાત કરતા ફાતિમાએ ઉમેર્યું કે 'વીસી આ મામલે અમારી મદદ કરે એવી હવે અમને કોઇ જ અપેક્ષા નથી રહી. મદદ તો દૂરની વાત, અમારી સાથેનું એમનું વર્તન પણ એકદમ તોછડાઇપૂર્ણ હતું'
( જેમણે મારા દીકરાને માર્યો છે એ પણ કોઇ માના દીકરા હશે. હું નથી ઇચ્છતી કે એમની જિંદગી ખરાબ થાય: ફાતિમા નફિસ)

પોલીસે આ કેસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોપી દીધો છે. બનાવને એક મહિના કરતા પણ વધુ સમય થઇ ગયો હોવા છતાં હજુ સુધી આ મામલે કોઇ જ કડી નથી મળી. પરિવારજનોની દિવસે દિવસે આશા ધૂંધળી થઇ રહી છે. પણ પોતાનો દીકરો પરત આવશે જ એ ઉમ્મદી ફાતિમાએ કમ થવા નથી દીધી. એ કહે છે કે 'જ્યારે પણ કોઇ અજાણ્યા નંબરમાંથી ફોન આવે તો મને થાય છે કે મારા નજીબની કોઇ ભાળ આપશે. પણ એ એ આશ એ ફોન સાથે જ ખતમ થઇ જાય છે. મારા પરિવારજનોના કોઇનો ફોન હું નથી ઉપાડતી. એ બધા એક વાત પૂછે કે છે કે શું થયું કંઇ ખબર પડી. મારે શું જવાબ આપવો?

14 ઓક્ટોબરની રાતે નજીબ અને એબીવીપીના કેટલાક વિદ્યાર્થીઓ સાથે નજીબનો ઝગડો થયો હતો. જે બાદ નજીબ પર એબીવીપીના કાર્યકરો તૂટી પડ્યા હતા. એ રાતે નજીબે એની મા સાથે વાત કરી હતી. એ ઘટનાને યાદ કરતા ફાતિમા જણાવે છે કે ' 11 વાગ્યા સુધી હું એના કોન્ટેક્ટમાં હતી. એ બાદ જ્યારે સાડા બારે હું એના રુમે પહોંચી તો એ નહોતો. એનો બધો જ સામાન વેર વિખેર પડ્યો હતો. એનું લેપટોપ, એના કપડાં બધુ જ... એક ઓશિંકુ ફાડી નાખવામા આવ્યું હતું. સીડી પર એનું એક ચપ્પલ પડ્યું હતું.' નજીબની માના જણાવ્યા અનુસાર એની સાથે 11 વાગ્યે રાતે આટલી મોટી ઘટના બની છતા યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઇ પગલા ના ભરાયા. નો તો તંત્ર દ્વારા તેને હોસ્પિટલ લઇ જવાયો કે ના તેને કોઇ જાતની સુરક્ષા અપાઇ. નજીબનો રુમપાર્ટનર તેને હોસ્પિટલ લઇ ગયો હતો.

પોતાના દીકરાને કોઇએ કેદમાં રાખ્યો હોવાનું માનતી ફાતિમા જણાવે છે કે' એને ચોક્કસથી કોઇએ બંધક બનાવી રાખ્યો છે. જેની પાસે હોય એના માટે હું દૂઆ કરીશ કે અલ્લાહ તેને તૌફિક અદા ફરમાવે ને મારા દીકરાને છોડી મુકે. મારે એમના વિરુદ્ધ પણ કોઇ એક્શન નથી લેવું. મને માત્ર મારો દીકરો આપી દો. હું એમ પણ નહીં પૂછું કે એ ક્યાં હતો. હું બધી જ ફરિયાદો પાછી ખેંચી લઇશ. જેમણે મારા દીકરાને માર્યો છે એ પણ કોઇ માના દીકરા હશે. હું નથી ઇચ્છતી કે એમની જિંદગી ખરાબ થાય.'

હોસ્ટેલમાં આવ્યે નજીબને હજુ માત્ર દસ-15 દિવસ જ થયા હતા કે આ બનાવ બન્યો. 7મી ઓક્ટોબરે એ પોતાના ઘર બદાયુ આવ્યો હતો. 13મીએ હોસ્ટેલ પરત ફર્યો ને 14એ સંબંધીત ઘટના બની. નજીબ એકદમ શાંત પ્રકૃતિનો ને સીધો સાધો યુવક હોવાનું જણાવી એની મા ઉમેરે છે કે 'દિલ્હીથી લઇને બદાયુ સુધી ચાલ્યા જાવ. મારા દીકરાની કોઇ સાથે દુશ્મની નહોતી. એટલો સીધો દીકરો હતો કે એને કોઇ ગાળો આપે તો પણ એ એને વળતો જવાબ નહોતો આપતો. બસ! એટલું જ  કહેતો કે 'અલ્લાહ ઇન્સાફ કરશે એનો'. બધુ જ અલ્લાહ પર છોડી દેનારો નજીબ કોઇ પર હુમલો ના કરી શકે એવું માનતી ફાતિમા કહે છે કે 'મારો નજીબ  કોઇ પર પણ હાથ ઉઠાવી શકે એમ નથી! ને જો માની લો કે તેનો ઝઘડો પણ થયો તો પણ આવી રીતે કોઇ મારે? પહેલા ત્રણ લોકોએ મળીને માર્યો એને. કડાથી માર્યો એને. ને બાદમાં બીજા 9 છોકરાઓએ મળીને ફરીથી એને માર્યો!' નજીબ પર હુમલો કરનારી ભીડ તેને વોર્ડનના રુમ સુધી ઢસડી ગઇ હતી. જ્યાં તેના પર 8 દિવસ અંદર જ હોસ્ટેલ છોડી દેવા સાથેનું માફીનામું પણ લખાવાયું હતું. નજીબની મા અંગે સવાલ કરે છે કે ' જે લોકોએ એને માર્યો એના વિરુદ્ધ કોઇ જ ફરિયાદ ના કરાઇ. માર પણ મારા દીકરાને પડ્યો. સજા પણ એને જ મળી ને માફી પણ એની પાસે જ લખાવાઇ. કેમ?'
(JNUમાં  ઠેર ઠેર નજીબની ભાળ આપનારને ઇનામ આપવાની જાહેરાત કરતા પોસ્ટર લગાવાયા છે) 

એબીવીપીએ આ મામલે નજીબ વિરુદ્ધ ધાર્મિક ભડકાઉ અને પાકિસ્તાન સંબંધીત સુત્રોચ્ચાર કર્યા હતા. નજીબને પાકિસ્તાન ચાલ્યા જવાનું પણ કહેવાયું હોવાનું ફાતિમા જણાવે છે. જે મામલે  યુનિવર્સિટી પ્રોક્ટર દ્વારા વિક્રાંતસિંહ નામના આરોપીને શો-કોઝ નોટીસ પણ પાઠવવામાં આવી હતી.

( JNUની અદર અને બહાર ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન આ મામલે લડત ચલાવી રહ્યું છે.)
જેએનયુ સ્ટુડન્ટ યુનિયન પ્રેસિડેન્ટ મોહિતકુમારે યુનિવર્સિટી તંત્ર પર આ મામલાને દબાવી દેવાનો આરોપ લગાવ્યો છે. મોહિતે એવું પણ જણાવ્યું કે યુનિ.ના પ્રેસ રિલિઝમાં નજીબને જ દોષીત ઠેરવાયો હતો. જે અંગે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવાતા 'દોષિત' શબ્દ પરત ખેંચવાની તંત્રને ફરજ પડી હતી.

અંકિત, વિક્રાંત, સુનિલપ્રતાપસિંહ, વિજેન્દર ઠાકુર, સંતોષ, અભિજીત, અર્નબ ચક્રવર્તી, અને એ સીવાયના બે લોકોએ નજીબ પર હુમલો કર્યો હોવા છતાં તેમના વિરુદ્ધ કોઇ જ પગલા નથી લેવાયા એવું મોહિત જણાવે છે. મોહિતના મતે આરોપીઓ આજે પણ કેમ્પસમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે ને તંત્ર તેમજ ખુદ દિલ્હી પોલીસ તેને બચાવી રહી છે. નજીબને બચાવવા અંગે એક પણ શબ્દ ના ઉચારનારા વાઇસ ચાન્સેલર નજીબ પર હુમલો કરનારાઓ સાથે બે વખત બેઠક કરી ચૂક્યા છે. મોહિત ઉમેરે છે કે ' પહેલા જેએનયુમાં વૈચારિક લડાઇ લડતું એબીવીપી કેન્દ્રમાં નેતૃત્વ પરિવર્તન થતાની સાથે જ તે મારપીટ  પર ઉતરી આવ્યું  છે.' મોહિતના મતે  એબીવીપીમાં ' હવે અમારુ કોઇ જ કંઇ ના બગાડી શકે'ની માન્યતા આવી ગઇ છે. જેને કારણે એક માથી એનો દીકરો દૂર કરી દેવાયો છે.

આ દરમિયાન હજુ સુધી નજીબ સાથે એની કોઇ જ ભાળ મળી નથી. જેએનયુમાં ડાબેરી વિચારધારાના ગઢના કાંગરા ખેરવવા એબીવીપી દ્વારા કરાઇ રહેલા પ્રહારો અને એને પહોંચી વળવા વામપંથી વિદ્યાર્થી દ્વારા કરાઇ રહેલા પ્રયાસોની લડાઇ વચ્ચે એક માનો દીકરો ગૂમ થઇ ગયો છે. એનું દર્દ કદાચ ટીવી પર બે મિનિટના ન્યૂઝ પેકેજમાં કે ચાર કોલમના આર્ટિકલમાં વ્યકત કરી શકાય એમ નથી. કદાચ એટલા માટે કે એ દર્દ, એ પીડાને જેએનયુના એડમિનિસ્ટ્રેશન, દિલ્હીની પોલીસ અને નીંભર કેન્દ્ર સરકારે હાથ મસળતા-મસળતા શિયાળાની ઠંડી સાથે ઉડાવી  દીધું છે.


***

રાજ્ય અને લોકો વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઇએ. રાજ્ય એ તમારો જ એક ભાગ છે એ બતાવવા એણે સતત અહેસાસ કરાવવાનો રહે છે. જ્યારે બન્ને વચ્ચે આ અહેસાસમાં કમી આવે ત્યારે સ્થિતિ પીડાદાયક બની રહેતી હોય છે.
- રવિશ કુમાર





*અહીં માત્ર પીડિતનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે.
* TIMES INTERNET માટે કરેલી સ્ટોરીમાંથી...


Saturday 22 October 2016

અબ લગન લગી કી કરીયે

સમય એની ચાલ ચાલી જાય ને સંબંધોમાં અંતર આવતું જાય... નજરો સામે જ રહેતી વ્યક્તિ આંખોમાંથી ઓજલ થવા લાગે.... દિવસો ગુજરવા લાગે... જે વ્યક્તિની ટેવ પડી ગઇ હોય એના વગર રહેવા મને ટેવાઇ જવા લાગે... ડાયલ લિસ્ટમાં જેનું નામ સૌથી ઉપર હોય એ ધીમે ધીમે નીચે જવા લાગે.... ધીમે ધીમે લિસ્ટમાંથી જ હટી જાય ને એ નામ સર્ચ કરવું પડે... ઇનબોક્સના ખાસ મેસેજીસ ડાઉન થતા જાય... એટલા ડાઉન કે શોધવા માટે સ્ક્રોલ ડાઉન કરવું પડે....ને એનાથીય વધુ, અંતરમાં રહેલો ચહેરો યાદોમાં ફેરવાવા લાગે... માણસ જાણે મમી બની રહ્યો હોય એમ, એના પર સમયના લપેટા લાગ્યા કરે અને આંખોમાંથી દૂર ના હટતી વ્યક્તિ 'યાદ' બની તડપાવા લાગે...

સમય... સમય સૌથી મોટો ષડયંત્રકારી છે... એની ચોપાટે માણસો મ્હોરા બને ને સમયને સથવારે ચાલો ચાલે... એની એક ચાલે એ 'સંબંધમાં અંતર' લાવી દે ને 'અંતરના સંબંધ' પણ ભૂલાવી દે. એક ચાલે એ હજારો માઇલોને મિનિટમાં કાપી નાખે ને એક જ ચાલે એ ગમે તેવી ક્લોઝનેસ વચ્ચે કિલોમિટરના અંતર આણી દે. પણ માથાકુટ એ કે માણસ ક્યાં સમજી શકે સમયની આ શરારતો... સમયની આ ચાલો...

... એક લાઇનમાં સમજવું હોય તો સૈયદ કાદરીને યાદ કરવા પડે... કાદરી સા'બ બખુબી કહે છે કે 'અપને હી પૈશ આયેં હમસે અજનબી...વક્ત કી સાજ઼િશ કોઇ સમજ઼ા નહીં...'

વક્તની સાજ઼િશ સામે માનવી મિનિટોમાં મગતરો બની જાય...પોતાનાઓ વચ્ચે પરાયો બની જાય... પારકો બની જાય... પણ, તોય, સમયના શસ્ત્રો હેઠા પડે જ્યારે સંબંધ 'અંતર'માં બંધાયો હોય...અંતરઆત્મામાં રચાયો હોય... સમયની ચોપાટના મહોરા બનેલા માનવીઓના સંબંધો દાવ પર લાગતા હોય છે પણ, સંબંધો પર જ જીવતા માનવીઓ અસ્તિત્વનો અંત આણીને પણ એ સંબંધને સાચવી લેતા હોય છે... બચાવી લેતા હોય છે...

પણ, બને!!! ઘણી વખત એવું બને કે 'અંતર'ના એ સંબંધને સાચવવા માટે, એને સમયના ષડયંત્રથી બચાવવા માટે, એમા 'અંતર' ઉમેરવું પડે... સંબંધ જેટલો નજીકનો હોય, એમા દૂરીઓ પણ એટલી જ ઉભી કરવી પડે... જેનાથી દૂર રહીને જીવવાની કલ્પના પણ શક્ય ના હોય એને જ દૂર રાખીને જીવી લેવું પડે!!! આંખોમાં યાદ ભરી, દિલમાં ઇર્શાદ કામિલના અલ્ફાઝ ભરી ગાઇ લેવું પડે...
ગાઇ લેવું પડે કે,,,

કુછ રિસ્તો કા નમક હી દૂરી હોતા હૈ,
ના મિલના ભી જરુરી હોતા હૈં...

...ને એ ગાતી વખતે બુલ્લે શાહની માફક પગમાં ઘૂંઘરુ બાંધી નાચવું પડે... ખૂદને ભૂલી જઇ નાચવું પડે... મુર્શિદને મનાવવા નાચવું પડે... મારો મુર્શિદ નચાવે એ એમ નાચવું પડે...

અબ લગન લગી કી કરીયે
ના જી સકીયે ના મરીયે
અબ લગન લગી કી કરીયે.

‘ઓર હો...મોમેન્ટ’નો સાક્ષાત્કાર

જિંદગી સાલી ગજબની ગેમ રમતી હોય છે, નહીં! એવા મુકામે તમને લાવતી હોય કે તમારી રગે-રગમાં વંટોળ ઉઠે ને તમારું રોમે-રોમ એ વંટોળને મુઠ્ઠીમાં ભરીને ભીતરમાં જ દાબી દેવા ઉધામા કરે. અંદર આગ ઉઠે બહાર મુશળાધાર વરસાદ પડે. અંદર ખતરનાક ખાલીપો સર્જાય ને બહાર બેદર્દ મહેફીલો મંડાય. દિમાગ હા કહે ને દિલ ના પાડે. દિલ અને દિમાગ વચ્ચેનો જંગ એ આ જ! જહન અને જઝબ્બાત વચ્ચેની જેહાદ એ આ જ! આ એ ક્ષણ હોય જ્યારે માણસ જિંદગીમાં સૌથી વધુ બેબસ હોય, સૌથી વધુ હેલ્પલેસ ફિલ કરતો હોય છે. જિંદગીની સૌથી નાલાયક, નિર્દય, નિષ્ઠુર ક્ષણ એ આ જ! જ્યારે એનો ખુદ પર કોઇ વશ ના હોય ને પરિસ્થિને વશ કરવાની એની ઔકાત ના હોય. શું કરવું એને સૂજતું ના હોય અને જે સૂજતું હોય એ કરી શકતો ના હોય એવી એક ક્ષણ. જિંદગીની સૌથી નાલાયક, નિર્દય, નિષ્ઠુર ક્ષણ એ આ જ! ‘ઔર હો...મોમેન્ટ’ એ આ જ! અત્યાર સુધી સૌથી વધુ વખત સાંભળેલા મોસ્ટ ફેવરિટ મૂવી રોકસ્ટારના સોંગ ‘ઓર હો’નો સાક્ષાત્કાર એ આ જ!.
મેરી બેબસી કાં બયાં હૈં, બસ ચલ રહા ના ઇસ ઘડી
રસ હસરતા કાં નીચોડ દૂં, કસ બાંહો મેં આ તોડ દૂં
ચાહૂં ક્યાં જાનું ના, છીન લૂં, છોડ દૂં
ઇસ લમ્હે ક્યાં કર જાઉં...
ઇસ લમ્હે ક્યાં કર દૂં
જો મુજે ચૈન મિલે આરામ મિલે...
હીરને મેળવી લેવાની-કિસ્મત પાસેથી માગી લેવાની, એને પામી લેવાની-દુનિયા પાસેથી આંચકી લેવાની, એને ઝુંટવી લેવાની-ખુદની કરી લેવાની જોર્ડનની ઇચ્છા ને હીરને છોડી દેવાની-એને ભૂલી જવાની, એના પરાયાપનને સ્વિકારી લઇ-વાસ્તવિક્તા ને અપનાવી લઇ ચાલી નીકળવાની જોર્ડનની જઝ્બાતી જદ્દોજહદ એ આ ક્ષણ. આ જ એ ‘ઓર હો...મોમેન્ટ’
તુજે છીન લું યા છોડ દૂં
તુજે માંગ લું યા મોડ દૂં
ઇસ લમ્હે ક્યાં કર જાઉ....
આ જ એ લમ્હા હોય કે માણસ બીચારો મગતરો બની રહે. કિસ્મત સામે હારી જાય ને જિંદગી એને ડારી જાય. હસરતોના ગૂંચવાડા સર્જાય ને લાગણીઓની આંટીઘૂંટીમાં એ ગુંચાય. એ તાળા મારેલા કમાડ પર ટકોરા માર્યા કરે ને બહેરા કાનો સામે ઉંહકારા ભર્યા કરે. ના કમાડને ખોલનાર કોઇ મળે કે ના એ ઉંહકારાને સાંભળી સાંત્વના કોઇ પાઠવી શકે એવી આ ક્ષણ. આ જ તો એ ‘ઓર હો...મોમેન્ટ’
મૈં હસરત મેં ઇક ઉલજ઼ી ડોર હુઆ, સુલજ઼ા દે હો
મૈં દસ્તક હૂં તૂ બંદ કિવાડો સા, ખુલ જા રે હો...
આવી ક્ષણનો સાક્ષાત્કાર થાય ત્યારે શું થાય? જિંદગી અને મોત વચ્ચે કશ્મકશ પૈદા થાય ત્યારે શું થાય? પાછળ હટવું અશક્ય હોય ને આગળ વધવું મુશ્કેલ હોય ત્યારે શું થાય? દુનિયાદારીને લાત મારીને નાદાર બની જવાની વૃતિ વર્તાય ને એવી નાદારીમાં પાછા દુનિયાદારીના સબક સર્જાય ત્યારે શું થાય??? ત્યારે રોમ-રોમમાં આગ લાગે, અંગ-અંગમાં દાહ જાગે, માંસના લોંચા પીગળવા લાગે ને પથ્થર બનાવી દીધેલું કાળજું ઓગળવા લાગે. પણ અસફોસ... અફસોસ કે કંઇ જ ના થઇ શકે...કંઇ એટલે કંઇ જ ના થઇ શકે...
બસ! કાનમાં ઇર્શાદ કામિલના શબ્દો ગૂંજ્યા કરે...
મેરી બેબસી કાં બયાન હૈં...

Sunday 5 June 2016

ખામોશ રાત

હાથમાંથી સરી રહી રહેલા સંબંધના અવસાદનો સ્વાદ વોદકામાં આઇસ સાથે મેળવીને ગ્લાસ હલાવી લીધો. આઇસ ક્યૂબ ઓગળવા લાગી અને તમન્નાઓ ઉઠવા લાગી. ઢળી રહેલી સાંજની બોજ઼લ ખામોશીએ અરમાનોનો બોજ વધારી દીધો. કેટલાક સંબંધો હાથમાંથી સરી જવા માટે જ બનતા હશે? ધૂંધળી ક્ષીતિજને પાર ડૂબી રહેલો સૂરજને હું પૂછી બેઠો.ને સરી જવું હોય તો એ સંબંધ બંધાય જ શું કરવા? વોદકાનો એક મોટો ઘૂંટ પેટમાં પડ્યો ને રૂવે રૂવું બોલી ઉઠ્યું, પણ કેમ? કેમ આવું થાય? ઠંડા પવનની લહેરકી ઉઠી ને કાનમાં કહી ગઇ કે એવા સંબંધો પણ હોય કે એની આરી ચાલે ને એના બૂઠા આરા મનના માંસને સહનના થાય એટલી પીડાથી કાપ્યા કરે! ચાલ્યા કરે!

પણ મન તોય એ સંબંધને જકડી રાખવા ધમપછાડા કરે તો? મેં ફરી સવાલ કર્યો પણ આ વખતે ના સૂરજ કંઇ બોલ્યો કે ના પવનની કોઇ લહેર ઉઠી. મનના એ ધમપછાડાને મહોબ્બત કહેવી કે મુર્ખામી? મેં પાછું પૂછ્યું.દરિયાને પેલે પાર સુરજ ડૂબી ગયો અને રાતના અંધકાર સાથે સંદેશો મોકલતો ગયો કે મુર્ખામી વગર મહોબ્બત શક્ય ક્યાં છે?

મેં વોદકાનો વધુ સીપ માર્યો.આસમાનમાં એક તારો ઉગ્યો ને બોલ્યો કે કિસ્મત જેવુ પણ કંઇ હોય યારા!સરકી રહેલો સંબંધ સરકી જ જવાનો.એને પકડી રાખવાનો પ્રયાસ મોજા ખેંચાય એમ હાથમાંથી શરીર આખાની ચામડી ખેંચી કાઢે. સ્નેહના એવા તાંતણાઓ પણ મન ફરતે બંધાયા હોય કે શ્વાસ પણ ના લેવા દે ને છોડવા પણ ના દે. જીવવા પણ ના દે ને મરવા પણ ના દે. થાય! આવું પણ થાય! કરમમાં લખાયું હોય તો આવું પણ થાય! મારી અંદરથી એક ઉંડો નિસાસો નખાઇ ગયો. રાતની કાળાશ વધુ ઘેરી થઇ. મેં વોદકાનો ગ્લાસ ખાલી કરી નાખ્યો ને બીજો નિસાસો ઉઠે એ પહેલા જ એને એમા ડૂબાડી દીધો.

તમને હતા ના હતા કરી દે એને મહોબ્બત કહેવી કે મોક્ષ?મારાથી પુછી લેવાયું.ફરી પછ્યું. ફરી ફરીને પૂછ્યું પણ કોઇએ એટલે કોઇએ જવાબ ના આવ્યો...વધુ એક ખામોશ રાત ખીલી ઉઠી. મેં

મોબાઇલમાં મ્યુઝિક પ્લેયર ઓપન કર્યું અને ગ઼ુલામ અલી ગાઇ ઉઠ્યા.....

તો ક્યા યે તય હૈ કિ અબ ઉમ્ર ભર નહીં મિલના

તો ફિર યે ઉભ્ર ભી ક્યો, તુમ સે ગર નહીં મિલના


(તસવીરઃ રવિ પરમાર)

Sunday 31 January 2016

મારો સરવાળો...તારો સરવાળો..

વન ઓફ માય ફેવરિટ ફિલ્મ ‘ધી ફોલ્ટ ઈન અવર સ્ટાર’માં એક અદભૂત ડાયલોગ આવે છે, ‘ધી વર્લ્ડ ઈઝ નોટ અ વિશ ગ્રાન્ટિંગ ફેક્ટરી.’ વિશ્વ એ કંઈ વરદાનની ખાણ નથી કે તમે માગો એ બધુય મળી જાય. ઈચ્છો એ બધુય હાજર થઈ જાય. જે સપના જુઓ એ બધાય સાકાર સાકાર થઈ જાય, હકીકતમાં ફેરવાઈ જાય. અહીં તો તમારી ઈચ્છાઓ એમને એમ પડી રહે. સપનાઓ સળગીને રાખ થઈ જાય તોય કોઈ ભાવેય ના પૂછે. કારણ કે આ જ તો દુનિયા છે! દુનિયાની આ જ તો નિયતિ છે! એનો અફસોસ શો? ને અફસોસ કરવો તોય કેટલો કરવો? કેટલી કેટલી વાર કરવો? જે કિસ્મતની લકીરોમાં નથી લખાયેલું એને મેળવવા કંઈ ચાકુથી હથેળીઓ પર રેખાઓ થોડી કોતરી શકાય? થવાનું તો એ જ છે જે પહેલાથી લખાયેલું છે! થઈ તો એ જ રહ્યું છે જે પહેલાથી લખાયેલું હતું! એફિલ ટાવર પરથી કુદી જાવ કે મરીના બીચ પર ડૂબી જાવ, લેખમાં મેખ કોણ મારવાનો? હું કે તું, બસ નિયતિની ચોપાટની ચળકાટ વધારનારા પ્યાદા માત્ર! ના તો આપણે ચાલ ચાલી શકીએ કે ના તો આપણે રમત અધુરી છોડીને ઉભા થઈ શકીએ. નસીબે નક્કી કરેલી રમત રમતા જઈએ. જન્મીએ, મોટા થઈએ, પ્રેમમાં પડીએ, વિખુટા પડી જઈએ, મરી જઈએ. મને બહુ ગમતી ‘કાઈટ્સ્’ ફિલ્મના કોન્સેપ્ટની જેમ જ તો!

આકાશમાં ઉડતી બે પતંગોને લાગતું હોય કે એની ઉડાણમાં આકાશ આખું સમાઈ જશે, મપાઈ જશે. પણ હકીકત તો કંઈક અલગ જ હોય! આસ્માંમાં આંખમીચામણી કરતી એ પતંગોની દોર તો કોઈ બીજાના હાથમાં હોય! એ ઈચ્છે એટલી ઢીલ આપે ને એની મરજી પડે ત્યારે ખેંચ મુકે. એકબીજાના પેચમાંથી ક્યારે અલગ ના થવાનું વિચારી ઉડ્યા કરતી પંગતોના પેચ ક્યારે છૂટી જાય, ક્યારે કપાઈ જાય કોને ખબર? ક્યારે એની ઈચ્છાઓ અધુરી રહી જાય? સપનાઓ ક્યારે સળગીને રાખ થઈ જાય કોને ખબર? ખબર તો બસ માત્ર એટલી જ કે જે મળ્યું એને બાંહોમાં ભરી લેવાનું. બથ ભરીને ભીંસી નાખવાનું. થોડું હસી લેવાનું ને છાતી ફાડી રડી લેવાનું

...પણ,,, પણ,,, પણ,,,જે ના મળ્યું એનું??? જે પાછળ છૂટી ગયું એનું??? એનું શું??? ઓ યારા! એનો ખાલિપો જ તો જિંદગીનો જશ્ન હશેને! એ ખલિશ, એ ખલા જ તો કોઈ વગર ગુજારી કાઢેલા દિવસોને જિંદગીનું નામ આપશેને! એનું જ તો સેલિબ્રેશન હશેને જિંદગીની શામનું! દરિયાને પાર જિંદગીની માફક ડૂબતો સુરજ જોતા જોતા, કાંપતા હાથે વ્હિસ્કીનો ઘૂંટ ભરતા ભરતા, બૂઢ્ઢી આંખોએ જવાનીની રવાની યાદ કરતા કરતા જે ડૂસકુ ભરાઈ જાય કે હાસ્ય રેલાય જાય એ જ તો હશે જિંદગીનો હિસાબ! મારો સરવાળો...તારો સરવાળો...મારી બાદબાકી...તારી બાદબાકી....

તારો ભરી એક રાત મેં
તેરે ખત પઢેંગે સાથ મેં
કોરા જો પન્ના રેહ ગયા
એક કાંપતે સે હાથ મેં
થોડી શિકાયત કરના તું
થોડી શિકાયત મેં કરું
નારાઝ બસ ના હોના તું
ઝિંદગી...


(ફેસબૂક પર લખેલી પોસ્ટ... બસ યું હી...  )