Saturday 22 October 2016

‘ઓર હો...મોમેન્ટ’નો સાક્ષાત્કાર

જિંદગી સાલી ગજબની ગેમ રમતી હોય છે, નહીં! એવા મુકામે તમને લાવતી હોય કે તમારી રગે-રગમાં વંટોળ ઉઠે ને તમારું રોમે-રોમ એ વંટોળને મુઠ્ઠીમાં ભરીને ભીતરમાં જ દાબી દેવા ઉધામા કરે. અંદર આગ ઉઠે બહાર મુશળાધાર વરસાદ પડે. અંદર ખતરનાક ખાલીપો સર્જાય ને બહાર બેદર્દ મહેફીલો મંડાય. દિમાગ હા કહે ને દિલ ના પાડે. દિલ અને દિમાગ વચ્ચેનો જંગ એ આ જ! જહન અને જઝબ્બાત વચ્ચેની જેહાદ એ આ જ! આ એ ક્ષણ હોય જ્યારે માણસ જિંદગીમાં સૌથી વધુ બેબસ હોય, સૌથી વધુ હેલ્પલેસ ફિલ કરતો હોય છે. જિંદગીની સૌથી નાલાયક, નિર્દય, નિષ્ઠુર ક્ષણ એ આ જ! જ્યારે એનો ખુદ પર કોઇ વશ ના હોય ને પરિસ્થિને વશ કરવાની એની ઔકાત ના હોય. શું કરવું એને સૂજતું ના હોય અને જે સૂજતું હોય એ કરી શકતો ના હોય એવી એક ક્ષણ. જિંદગીની સૌથી નાલાયક, નિર્દય, નિષ્ઠુર ક્ષણ એ આ જ! ‘ઔર હો...મોમેન્ટ’ એ આ જ! અત્યાર સુધી સૌથી વધુ વખત સાંભળેલા મોસ્ટ ફેવરિટ મૂવી રોકસ્ટારના સોંગ ‘ઓર હો’નો સાક્ષાત્કાર એ આ જ!.
મેરી બેબસી કાં બયાં હૈં, બસ ચલ રહા ના ઇસ ઘડી
રસ હસરતા કાં નીચોડ દૂં, કસ બાંહો મેં આ તોડ દૂં
ચાહૂં ક્યાં જાનું ના, છીન લૂં, છોડ દૂં
ઇસ લમ્હે ક્યાં કર જાઉં...
ઇસ લમ્હે ક્યાં કર દૂં
જો મુજે ચૈન મિલે આરામ મિલે...
હીરને મેળવી લેવાની-કિસ્મત પાસેથી માગી લેવાની, એને પામી લેવાની-દુનિયા પાસેથી આંચકી લેવાની, એને ઝુંટવી લેવાની-ખુદની કરી લેવાની જોર્ડનની ઇચ્છા ને હીરને છોડી દેવાની-એને ભૂલી જવાની, એના પરાયાપનને સ્વિકારી લઇ-વાસ્તવિક્તા ને અપનાવી લઇ ચાલી નીકળવાની જોર્ડનની જઝ્બાતી જદ્દોજહદ એ આ ક્ષણ. આ જ એ ‘ઓર હો...મોમેન્ટ’
તુજે છીન લું યા છોડ દૂં
તુજે માંગ લું યા મોડ દૂં
ઇસ લમ્હે ક્યાં કર જાઉ....
આ જ એ લમ્હા હોય કે માણસ બીચારો મગતરો બની રહે. કિસ્મત સામે હારી જાય ને જિંદગી એને ડારી જાય. હસરતોના ગૂંચવાડા સર્જાય ને લાગણીઓની આંટીઘૂંટીમાં એ ગુંચાય. એ તાળા મારેલા કમાડ પર ટકોરા માર્યા કરે ને બહેરા કાનો સામે ઉંહકારા ભર્યા કરે. ના કમાડને ખોલનાર કોઇ મળે કે ના એ ઉંહકારાને સાંભળી સાંત્વના કોઇ પાઠવી શકે એવી આ ક્ષણ. આ જ તો એ ‘ઓર હો...મોમેન્ટ’
મૈં હસરત મેં ઇક ઉલજ઼ી ડોર હુઆ, સુલજ઼ા દે હો
મૈં દસ્તક હૂં તૂ બંદ કિવાડો સા, ખુલ જા રે હો...
આવી ક્ષણનો સાક્ષાત્કાર થાય ત્યારે શું થાય? જિંદગી અને મોત વચ્ચે કશ્મકશ પૈદા થાય ત્યારે શું થાય? પાછળ હટવું અશક્ય હોય ને આગળ વધવું મુશ્કેલ હોય ત્યારે શું થાય? દુનિયાદારીને લાત મારીને નાદાર બની જવાની વૃતિ વર્તાય ને એવી નાદારીમાં પાછા દુનિયાદારીના સબક સર્જાય ત્યારે શું થાય??? ત્યારે રોમ-રોમમાં આગ લાગે, અંગ-અંગમાં દાહ જાગે, માંસના લોંચા પીગળવા લાગે ને પથ્થર બનાવી દીધેલું કાળજું ઓગળવા લાગે. પણ અસફોસ... અફસોસ કે કંઇ જ ના થઇ શકે...કંઇ એટલે કંઇ જ ના થઇ શકે...
બસ! કાનમાં ઇર્શાદ કામિલના શબ્દો ગૂંજ્યા કરે...
મેરી બેબસી કાં બયાન હૈં...

No comments:

Post a Comment