Thursday 22 May 2014

ઉનાળોઃ રૂએ રૂએ રોમાંચનો અનુભવાતો ઉકળાટ

ગ્રીષ્મને આતે હી,
ચુરા લીએ
હમારે સારે કવચ...

એક લંબે અંતરાલ તક
હમ ઘીરે રહે ઈક
ગહરી, શ્વેત ખામોશી મે...

આહે ગુંથતી ગઈ
કભી ચોટિયો મેં
કભી જહાજ કે પાલો મેં!

જો સમંદર પર
લાતી હૈ હવાએ
વો જુદા નહીં હોતી હમ સે

એક નિગાહ કે અલાવા
હર કુછ અનંત હરિયાલી મેં

-માર્ગુસ લતિક

  
ઉત્તર યુરોપમાં પરીઓની કહાનીમાં હોય એવો એક ખૂબસુરત દેશ આવ્યો છે, ઈસ્ટોનિયા. આજ દેશના કવિ માર્ગુસ લતિકની ગ્રીષ્મ પર લખાયેલી કવિતાનો ઉપરોક્ત હિંદી અનુવાદ છે. ગ્રીષ્મ પર લખાયેલી કેટલીક શ્રેષ્ઠ કવિતાઓમાં જેને સ્થાન આપવું ઘટે એવી આ કવિતા સમય, સંજોગ અને સમસ્યા એમ ક્યાંય પણ ભારત સાથે મેળ ના ખાય એવા દેશની ગ્રીષ્મનું ઈસ્ટોનિયન વર્ઝન છે. ઈસ્ટોનિયન બેકગ્રાઉન્ડને લીધે એમા વિષાદ છે, વિલાપ છે. વલવલાટ છે. પણ, એ યુરોપની વાત છે. આપણી વાત અલગ છે. ગ્રીષ્મ ભારતમાં આવતાની સાથે જ  રોમાંચક બની જાય છે. રોમેન્ટિક બની જાય છે. રસપ્રદ બને છે રંગદાર બને છે. કોઈ અફઝલ આશિકની જેમ જ. એને અંગ લગાડતા દાઝી જવાય. એની નજીક જતાં ઓગળી જવાય. એની આંખોમાં આંખો મિલાવતા અંજાઈ જવાય ને તોય ખુદની ફનાગીરી વહોરીને પણ એને આંલિગવો પડે એવો આ ઉનાળો. ગાલિબને યાદ કરીએ તો આગનો દરિયો એટલે આ ઉનાળો. એને અનુભવવા માટે એમા ડૂબવું પડે. ડૂબીને પાર થવું પડે.

શિયાળો જેટલો સેક્સી, ઉનાળો એટલો જ એક્સાઈટેડ છે. ઉનાળાનો કણ કણ ઉત્તેજક છે, એની ક્ષણ ક્ષણ ઉત્તેજનાત્મક છે. પરસેવે ભીના થયેલા વિજાતિય પાત્રના હાથમાં હાથ નાખીને અનુભવાતો આલ્હાદક અનુભવ એટલે ઉનાળો. લાલ ટમેટા જેવા થઈ ગયેલા ગૌર ચહેરા પર બાઝેલા પરસેવાના બિંદુએ સર્જેલું મેઘધનુષ એટલે ઉનાળો. ભીની ભીની પાંપણોએ વધારી દીધેલી આંખોની 'કુમળાશ' એટલે ઉનાળો. નાક અને ગાલની ગહેરાઈ વચ્ચેની ટપકતી ખારાશને પ્રિયાના હોઠના જામમાં ભરી પીવાનો 'પાવન અવસર' એટલે ઉનાળો. ગૌરવર્ણા ગળેથી દોડીને ને બે સ્તન વચ્ચેની ખીણમાં ખૂદી પડતો શરમનો શેરડો એટલે ઉનાળો. ને એ જ મખમલી છાતી પર અનુભવાતો 'ભીનો ઉકળાટ' એટલે ઉનાળો.


સંસ્કૃત સાહિત્યમાં ઉનાળાનું એવું ઉતેજનાત્મક વર્ણન કરાયું છે કે આજનો સુસંસ્કૃત સમાજનો પરસેવો છૂટી જાય. ભર્તૃહરિ 'શૃંગારશતક'માં ઉનાળાની ગ્રીષ્મનું વર્ણન કરતાં કહે છે કે

अच्छाच्छचन्दनरसार्द्रतरा मृगाक्ष्यो
धारागृहाणि कुसुमानि च कौमुदी च ।
मन्दो मरुत्सुमनस: शुचि हम्‌र्यपृष्ठं
ग्रीष्मे मदं च मदनं च विवर्धयन्ति ॥

અર્થાત સ્વચ્છ તથા ચંદનના હળવા લેપથી ભીની ભીની થઈ ગયેલી મૃગનયનીઓ, ફૂવારા ધરાવતા ભવનો, ફૂલો અને ચાંદની, મંદ મદ વાતો વાયરો, વેલીઓ અને અગાસી. આ બધું ઉનાળામાં મદને અને મદન એટલે કે કામને ઉદ્દદિપક કરનારું બની રહે છે. ઉનાળાને આટલો એક્સાઈટેડ ગણાવ્યા બાદ પણ ન અટકતા ભર્તુહરી ઉનાળાના આગોશમાં સમાઈ જતા લખે છે કે


स्त्रजो ह्यद्यामोदा: व्यजनपवनश्चन्द्रकिरणा:
पराग: कासारो मलयरज: शीधु विशदम्‌: ।
शुचि: सौधोत्सड्ग: प्रतनु वसनं पंक्जदृशो
निदाधर्तावेतद्‌विलसति लभन्ते सुकृतिन: ॥

મતલબ કે મનગમતી સુવાસવાળી પુષ્પમાળાઓ, વિંઝળાથી ફેંકાતો પવન, ચંદ્રના કિરણો, ફૂલોની પરાગરજ, જળાશયો, મદ્ય ને મહેલોનો સ્વચ્છ એકલો ઓરડો, અહીં સાવ ઓછા વસ્ત્રો ધારણ કરીને બેઠેલી કમલનયની સુંદરીઓ, ઉનાળાની ઋતુમાં ભાગ્યશાળી હોય તેમને જ આ સુખ પ્રાપ્ત થાય છે.



***


બ્લોગરબોયની આ ફેવરિટ ઋતુ સાથે નાઈન્સાફી થઈ છે. બહુત નાઈન્સાફી. આગ ઓકતો સૂર્ય, લુણો લગાડી દે એવી લુ, રૂએ રૂએ દાઝ દેતાં વાયરાઓ ને આવા જ વર્ણનો સાથે ઉનાળાને આપણે ત્યાં વધાવવામાં આવ્યો છે. જાણે ઉનાળાનું નહીં પણ ઈન્ડોનેશિયાના કોઈ જ્વાળામુખીની વાત કરાતી હોય. ગુજરાતી સાહિત્યકારોએ પણ ઉનાળાને અત્યાચારી ગણાવામાં કંઈ બાકી નથી રાખ્યું. અમુક અપવાદો બાદ કરતા 'બળબળતી બપોર' કે 'જોગી જટાળા'માંથી એ ભાગ્યે જ બહાર નીકળી શક્યા છે. બાકી, શિયાળા અને ચોમાસાની જેમ ઉનાળો પણ 'મ્હાણવા'ની ઋતુ છે. અનુભવવાની ઋતુ છે.

ધાબા પરથી ઉતરી આવેલી 'રોમાંચક રાત' સીડી વાટે ઉતરી ક્યારે સવારના શરણે થઈ જાય એનો ઉનાળામાં ખ્યાલ જ ના રહે. સામાન્ય રીતે ઉનાળાને આળસ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. પણ આળસુના પીરોય ઉનાળામાં સવાર સવારમાં ન્હાતા જોવા મળે ને એમા કોઈ નવાઈ પણ ના અનુભવાય. 'પિગળાવી' નાખતી બપોર એ ઉનાળાનું સૌથી 'હાર્ડકાર' ફોર્મ છે. પણ એ જ હાર્ડકોર ફોર્મમાં અજાણી હકીકત છુપાયેલી પડી છે. ઉનાળાની બપોરે ઉંચા ચડી ગયેલા નીલા આકાશને જોયું છે ક્યારેય? જાણે જીવ અને શિવનું મિલન થતું હોય એવું કોઈ ગુઢ રહસ્ય આ સમયે જ ઉજાગર થતું અનુભવાય છે. કદાચ આને જ અદ્વૈત કહેવાય છે!

બપોર એ ઉનાળાનું હાર્ડકોર રૂપ છે તો એનું સોફ્ટ સૌંદર્ય ખીલે છે સાંજે. ચોમાસા અને શિયાળા એમ બેયને આંટીને ફુલ માર્ક લઈ જાય એવી સાંજ એટલે ઉનાળાની સાંજ. શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુમાં ઉનાળાની સાંજ સૌથી રોમેન્ટિક. અફકોર્સ, શિયાળામાં તો સાંજ જેવું કશું હોતું જ નથી. કાઠિયાવાડીમાં કહીએ તે રોંઢો થાયને સીધા જ અંધકારના ઓળા ઉતરવા લાગે એટલે શિયાળાની સાંજ પુરી. પણ, ઉનાળાની વાત અલગ. એનો વિલાસ અલગ. આખો દિવસ હિજ્રની હાલાકી ભોગવીને વિસાલ-એ-યારની ઘડી આવી હોય એમ ઉનાળાની 'હુંફાળી સાંજ' તમને આગોશમાં લેવા માટે બાહો પ્રસારતી દૂર ધુંધળી ક્ષિતીજને પાર ઉભી રહે. 'કહી દૂર જબ દિન ઢલ જાય...'

ઉનાળાની સાંજનો 'લુત્ફ' ઉઠાવવો હોય તો દરિયા કિનારે દોડી જવું. 'નર્મલી' રેતી પર બેઠા બેઠા પ્રિયપાત્રના ખોળામાં માથું મુકીને દૂર દરિયાઈ ક્ષિતીજને પાર ડૂબતા સૂર્યને નીહાળ્યા કરવો. કદાચ આને જ સ્વર્ગીય અનુભવ કહેવાતો હશે! 'ગર્મી કી શામ' હોય કે 'એક સાંજની મુલાકાત' ઉનાળાની આ જ સાંજ કવિઓની કલ્પનાઓમાં અને લેખકોની વાર્તાઓમાં ખીલી છે, સર્જી ઉઠી છે. ઉનાળાની તો રાતેય કેવી? ધાબા પર વાતો ઠંડો વાયરો ને ચારેય બાજુ ફેલાયેલી ચાંદની. આંખો સાથે આંખ મિચામણી કરતા તારલાઓ એ ઉનાળાની જ દેન છે ને! ઉનાળાની ચાંદની જોઈને મહેબૂબાને ચાંદનીની ઉપમા અપાઈ હશે! કદાચ એ જ ચાંદનીમાં 'કોઈ'ને 'કોઈ' સૌથી વધુ યાદ આવતું હશે! ઉનાળાની રાતે હાંસલ થતો આ લ્હાવો તો 'એન્ટેલિયા'ના નસીબમાંય નહીં હોય.

ને આ જ ઉનાળાના સૌથી મોટા આશીર્વાદ એટલે...? ઉનાળાની ટૂંકી રાતો... એકલતાનો અભિશાપ ભોગવનારાઓને માટે તો આ એક જ રાહત હોય છે, કે રાત વહેલી પુરી થઈ જાય. ને તોય કાનમાં ગુંજ્યા કરે 'દિન ઢલ જાયે હાયે રાત ન જાય...તું તો ના આયે તેરી યાદ સતાય '

(તસવીર: સાભારઃ ઈન્ટરનેટ, સંસ્કૃત શ્લોક અનુવાદઃ 'વાંચનયાત્રા'માંથી પ્રેરિત)

Friday 21 March 2014

ખુશવંતસિંહની ખુદાહાફિઝઃ અબ કે હમ બિછડે તો કિતાબો મેં મિલે...



ફોટો સૌ. ઈન્ટરનેટ

1934નું વર્ષ હતું. દિલ્હીમાં ઉનાળુ વેકેશન પતાવી મારે ઈંગ્લેન્ડમાં અભ્યાસ માટે પરત ફરવાનું હતું. ફ્રન્ટીયર મેલમાં હું દિલ્હીથી બોમ્બે પહોંચ્યો. રાત બોમ્બેના વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન પર વિતાવવી પડે એમ હતું. મને થયું કે લાવ જરાક  આજુ-બાજુ થોડી લટાર મારી લઉં. ચાલતો ચાલતો હું બોમ્બેના રેડલાઈટ એરિયા, કમાઠીપુરા સુધી પહોંચી ગયો. 

સાંકડી ગલીઓમાં સ્ત્રીઓ મને ઈશારાઓ કરી રહી હતી, આમંત્રણ આપી રહી હતી. મારાથી અનાયાસે એકને જવાબ આપી દેવાયો 'કઈ તરફ'? એણે એના ઓરડા સુધી પહોંચતી સીડી તરફ ઈશારો કર્યો. હું પહોંચી ગયો. કેરોસીનના દિવાના અજવાળે કાળો પડી ગયેલો એ ઓરડો બદબુ મારતો હતો. બળબળ થઈ રહેલા દિવાના પ્રકાશે મેં જોયું તો ઓરડામાં એક છોકરો પણ બેઠો હતો. પેલી સ્ત્રી મારી પાસે આવી. એ જાડી હતી. આધેડ હતી. એણે સલવાર-કમીઝ પહેર્યા હતાં. આવકારનો એક પણ શબ્દો બોલ્યા વગર એણે પંજાબીમાં કહ્યું કે 'દસ રૂપિયા લાગશે'. મેં ખીસ્સામાંથી દસ રૂપિયાની નોટ બહાર કાઢી ને તેને ધરી દીધી. એ સાથે જ એણે મકાનમાલિકને પાંચ રૂપિયા આપવા માટે પેલા છોકરાને કહ્યું. એ ઉઠ્યો ને એ એણે કમાડ અંદરથી વાંખી દીધા. હું નવશીખીયો લાગતો હોઈશ. એને ખબર પડી ગઈ કે મારો પ્રથમ અનુભવ છે. એણે તરત જ સલવાર-કમીઝ ઉતારી નાખ્યા ને નાવણીમાં જઈ પાણીનો લોટો ભરી એની જાંઘ વચ્ચેની જગ્યા સાફ કરી. એ બાદ એણે બાજુમાં પડેલા ગંદા કપડાથી પાણીવાળો ભાગ લૂંછ્યો ને તરત જ ઓરડામાં પડેલા ખાટલા પર સુઈ ગઈ. પોતાના બન્ને પગ ઉંચા કરી ઘુંટણો છાતી પર ટેકવતા બોલી 'આવ'. મને નહોતી ખબર કે ક્યાંથી 'પ્રવેશવું'? મેં મારો પાયજામો ઉતારી નાખ્યો ને...

આટલું વાંચીને જ જો નાકના ટેરવા ચડી ગયા હોય, લાગણી દુભાવતા વાયરસનો એટેક થયો હોય કે સંસ્કારી સુરાતન સામે આવી ધુણવા લાગ્યું હોય તો વ્હાલાઓ આગળ વાંચતા પહેલા અહીંથી જ અટકી જજો. કારણ કે ઉપરોક્ત શબ્દો આડંબરોને ખાસડેં ખાસડેં વધાવનારા ખુશવંતસિંહના છેં. સરદાર ખુશવંતસિંહના. 

* * *

કલમમાં શાહી નહીં તેજાબ ભરીને લખનારા લેખક તરીકે પ્રથમ પરિચય ગુજરાતી સાહિત્યના સદાબહાર સુપરસ્ટાર ચંદ્રકાન્ત બક્ષીનો થયો. જ્યારે જ્યારે બક્ષીને વાંચતો, પોરબંદર ને રાજકોટ બેય લૂંટાવી દેતો. પણ જ્યારે ખુશવોના પરિચયમાં આવ્યો તો લાગ્યું કે બક્ષી તો કલમમાં તેજાબ ભરીને લખતા, મારો બેટો આ માણસ તો એની કલમમાં અણુબોમ્બ ભરે છે. સોરી ભરતો હતો. એ હવે નથી રહ્યો. ચાલી નિકળ્યો. 'કૃશ' થઈ ગયેલા શરીરમાં 'કૃષ' જેવા ઉફાણા મારતા સવાલોના જવાબ શોધવા! મૃત્યુ બાદ લોકો ક્યાં જતા હશે? ક્યાં રહેતા હશે? કોણ બનતા હશે?  વિચારતા વિચારતા એને એટલી તો ઉતાવળ થઈ ગઈ હશે કે નર્વસ 99નો ભોગ બનવાનું પણ એણે સ્વિકારી લીધું? પણ હવે એ ક્રિકેટ નહોતો જોતો ને, કદાચ એટલે એને સદી પુરી કરવાનો મોહ નહીં રહ્યો હોય! પણ એના દિલોજાન વાંચકોનું શું? એનાથી ખુશવોનો મોહ છૂટશે? નહીં. ક્યારેય નહીં. 

એને વાંચી વાંચી બે પેઢી ઇન્ટિલેક્ટ્યૂઅલ બની. સેક્યુલર બની. શરારતી બની. જેવો એ હતો એવા જ એણે વાંચકો પેદા કર્યા. પણ એના જેવો બીજો કોઈ પેદા ના થયો. થશે પણ નહીં. એવો લેખક પણ નહીં ને એવો પત્રકાર પણ નહીં. માણસ તો એવો ક્યારેય પણ નહીં. એની સારાપના જેટલા કિસ્સાઓ છે એનાથી વધારે કિસ્સાઓ એની સચ્ચાઈના. એ કિસ્સાઓથી કિતાબો ભરી પડી છે. કિતાબો સાથે  એવું ફેટલ અટ્રેકશન થઈ ગયું કે એણે પોતાનું જીવન જ ખુલ્લી કિતાબ બનાવી દીધું. મન પડે એ આવી ને વાંચી જાય. ના એકેય પાનું કોરું ના એકેય પાનું કાંપેલું. 

સચ્ચાઈ અને નિખાલસતા. સરદારની કલમની બે ધાર. આ બેય ધાર સાથે સરદારાએ ધારદાર લખ્યું. ખુબ લખ્યું. સત્યને નિચોવીને ને નિખાલસતાથી તરબોળ કરતા લખ્યું. માને દારુ પીવાને લાગેલી લત હોય કે પત્નીને અલગ આદમીની પડેલી આદત હોય, સત્ય લખવામાં ચુકે એ સરદાર નહીં. સરદારા નહીં. ને કદાચ એટલે એમની જીવનકિતાબ 'ટ્રુથ, લવ એન્ડ અ લિટલ મેલિસ' ને બાપુની આત્મકથા બાદ ભારતમાં લખાયેલો સચ્ચાઈનો સૌથી આધારભૂત દસ્તાવેજ ગણવો પડે. સરદારે પોતાના ફર્સ્ટ લવથી લઈને ફર્સ્ટ લસ્ટ સુધી, લાહોરથી લઈને દિલ્હી સુધી, જિન્નાહથી લઈને અડવાણી સુધી અને સાંપ્રદાયિક્તાથી લઈને બિનસાંપ્રદાયિક્તા સુધી દરેક બાબતને કાગળ પર સત્યના દસ્તાવેજીકરણ તરીકે પ્રસ્તૃત કરી દીધી. 
* * *
મોર્ડન સ્કૂલમાં સાથે ભણતા ખુશવંત અને કવલ હિંદી ફિલ્મોની જેમ લંડનમાં ફરી મળે છે. સરદારાને પ્રેમ થઈ જાય છે. દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગેની જેમ બન્ને ટ્રેનમાં બકિંઘમશાયર જાય છે. ટ્રેનમાં જ ખુશવો કવલને પ્રપોઝ કરે છે ને બન્નેના ઘડીયા લગ્ન લેવાઈ જાય છે. પીડબલ્યુડીના ચીફ એન્જીનિયરની પુત્રી અને દિલ્હીના સૌથી મોટા બિલ્ડરના પુત્રના લગ્નમાં મહમ્મદ અલી જિન્નાહ જેવા મહાનુભાવો હાજર રહે છે. સરળતાથી બધુ પતી ગયું હોય એવું લાગે તો ભલે લાગે પણ આ બધી સરળતામાં સંકુલતા સર્જાય છે જ્યારે પતિ-પત્ની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થાય છે. કવલના જીવનમાં બીજો પુરૂષ આવે છે. એ સંબંધ બે દાયકા સુધી ચાલે છે. આ બે દાયકામાં સરદારના દિલમાં હમેંશા કશુંક તૂંટતુ રહે છે. કશુંક કણસતું રહે છે. પણ એ એક શબ્દ બોલતા નથી. બસ અંદર અંદર ગુંગળાયા કરે છે. સરદારના શબ્દોમાં કહીએ તો એ ઈમોશનલી દેવાળું ફૂંકી દે છે. કદાચ એટલા માટે કે કવને તેઓ ખુબ પ્રેમ કરતા હતાં. કદાચ એટલા માટે કવલ તેમનો પ્રથમ પ્રેમ નહોતો. 

* * *

ગ઼ેયૂરુન્નિસા... સરદાર ખુશવંતસિંહનો પ્રથમ પ્રેમ. એ હૈદરાબાદી મુસ્લિમ યુવતી દિલ્હીમાં હોમ સાયન્સનો અભ્યાસ કરતી. એ વખતે સતરેક વર્ષના ખુશવંતસિંહની બહેનની એ બહેનપણી. ખુશવો અને ઘયૂર સાથે ફરતા. સિનેમા જોવા જોતા. એ સંબંધમાં જીસ્માની જીજ્ઞાસા કરતા પ્લેટોનિક પ્રેમનું તત્વ વધારે હતું. પણ બન્ને પ્રેમીજનોનું એક થવું કદાચ કુદરતને મંજૂર નહોતું. અભ્યાસ માટે સરદાર લંડન ઉડ્યાને પાછળથી ઘયૂરે નિકાહ પઢી લીધા. એ બાદ છેક ત્રીસ વર્ષે બન્ને પ્રેમીઓનું દિલ્હીમાં પુનઃમિલન થયું. પણ હવે પરિસ્થિતી બદલાઈ ગઈ હતીં. બન્ને પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હતાં. મસ્ત હતાં. જોકે, એમના દિલના કોઈ અંધારા ખુણે હજુ પણ એકબીજાનું અસ્તિત્વ દબાયેલું પડ્યું હતું. પડ્યું રહેવાનું હતું. સરદાર કહે છે કે 'એ બાદ અમારો સંપર્ક કાયમી ચાલું રહ્યો. હું જ્યારે પણ હૈદરાબાદ જતો એને મળતો.

છેલ્લે જ્યારે ખુશવંતસિંહ ગ઼ેયૂરુન્નિસા મળે છે ત્યારે એ બહુ જ એકલી લાગે છે. બહુ જ ઉદાસ. એ મુલાકાત બાદ સરદારાને સમચાર મળે છે કે ગ઼ેયૂરે દુનિયાને અલવિદા કહી દીધી. સમાચાર સાંભળતા જ સરદાર હૈદરાબાદ પહોંચે છે. એની કબર પર બેસી રહે છે. એક વૃદ્ધ પ્રેમિ પોતાની મૃત પ્રેમિકાને આખરી અલવિદા કરે છે. સાચા પ્રેમમાં ખુદનું અસ્તિત્વ ઓળગી જાય છે. સામેનું પાત્ર, એને સલગ્ન બધી જ વસ્તુમાં પોતાનાપણું અનુભવાય છે. એના મિત્રોમાં, એના માતાપિતામાં, એના ભાઈ-ભાંડરડામાં, એના સમાજમાં એના ઘર્મમાં પણ. ગ઼ેયૂરુન્નિસા સાથેનો પ્રેમ સરદારને મુસ્લિમ ધર્મ નજીક લઈ આવ્યો. એ ચાલી ગઈ પણ ખુશવંતસિંહને મુસ્લિમ સમાજ પ્રત્યે કાયમી લગાવ બંધાઈ ગયો.

ધર્મની ઓળખાણ ખુશવંતસિંહ માટે ધીમી ધીમે અદ્રશ્ય થતી ગઈ. પણ દેશમાં હિંદુ-મુસ્લીમ વચ્ચે વઘતી જતી ફાંટની  ચિંતા એમને કોરી ખાતી. દેશમાં 'દક્ષિણપંથી સંગંઠનોનો વધી રહેલો પ્રભાવ સરદારને હમેંશા અકળાવી મુકતો. 'એબ્સોલ્યુટ ખુશવંત'માં એ જણાવે છે કે 'રાઈટ વિંગ ફાસિઝમે આપણા આંગણામાં પગપેસારો કરી લીધો છે. પણ આપણે હરફ સુદ્ધા ઉચાર્યો નથી. એમને પસંદ ના પડે એવા પુસ્તકો સળગાવી રહ્યાં છે. તેમની વિરુદ્ધમાં લખતા પત્રકારોને મારી રહ્યાં છે. તેઓને મંજૂર ના હોય એવી ફિલ્મો પર હુમલાઓ કરી રહ્યાં છે. દેશના આગવા ચિત્રકારના ચિત્રો ફાડી રહ્યાં છે. ઈતિહાસનું મન પડે એવું અર્થઘટન કરી રહ્યાં છે. તેમના બોલે ન બોલનારાઓને તેઓ ગાળો ભાંડી રહ્યાં છે. પણ એમને જવાબ આપવામાં આપણે નિષ્ફળ નિવડ્યા છે. એનું કારણ કે, ના તો આપણે ક્યારેય એક રહ્યા છીએ કે ના એ વાતની ખબર છે કે દેશને એમના હાથમાં સોંપીને કેટલું મોટું જોખમ ખેડી રહ્યાં છીએ.'

સાંપ્રદાયિક્તાએ દેશને સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું હોવાનું ખુશવંતસિંહને લાગતું ને એ માટે તેઓ સૌથી વધારે જવાબદાર લાલકૃષ્ણ અડવાણીને ગણતા. અડવાણી મુદ્દે ખુશવંત લખે છે કે 'હું જ્યારે અડવાણીને પ્રથમ વખત મળ્યો ત્યારે મને એનામા સચ્ચાઈ અને પ્રામાણિક્તા દેખાઈ હતી. મને એમા સ્પષ્ટ વિચારક અને સશક્ત વક્તાના દર્શન થતા હતાં. મારા પિતાના મૃત્યુ વખતે એ શોક દર્શાવવા આવેલા. હું પણ ક્યારેક ક્યારેક એમના ઘરે જઈ ચડતો. ત્યાં સહજત્તા અનુભવતો. પણ અડવાણીએ જ્યારે રથયાત્રા યોજી ત્યારે મારો મોહભંગ થઈ ગયો. એ માણસ બે કૌમ વચ્ચે નફરતનાં બીજ રોપી રહ્યો હતો. દેશના આત્માને તોડી રહ્યો હતો. ભાગલા વખતે જોયેલી સાંપ્રદાયિક નફરત અને પાગલપણાને તેના સમર્થકો ફરીથી ચિંગારી ચાંપી રહ્યાં હતાં. તે એ માણસ છે જેમણે આ દેશને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. હું માનું છું કે એણે આ દેશનો સમગ્ર નકશો જ બદલી નાખ્યો છે. બાબરી મસ્જિદ ધ્વશ એ એક ભયાનક ઘટના હતી જે બાદ આપણે ક્યારેય ઝંપી નથી શક્યાં. આ દેશના સાંપ્રદાયિક સૌહાર્દના વિખંડન માટે હું તેને જવાબદાર માનું છું.'

ફોટો સૌ. ઈન્ટરનેટ
એક જાહેર કાર્યક્રમમાં ખુશવંતસિંહે અડવાણીને સરાજાહેર અને મોઢેમોઢ સંભળાવી દીધું હતું કે એણે આ દેશમાં નફરતના બીજ રોપ્યા છે. જેની કિંમત આપણે બધા ચુકવી રહ્યાં છીએ. સરદારના સેક્યુલરિઝમમાં નહેરુવાદી સેક્યુલરિઝમનું પ્રતિબિંબ ઝળક્તું. નહેરુ મુદ્દે ખુશવંતસિંહને સૌથી વધુ સ્પર્શતી વાત હોય તો એ હતી દેશના પ્રથમ વડાપ્રધાનની બિનસાંપ્રદાયિક્તા. નહેરુ અંગે ખુશવંતે લખ્યું છે કે તેઓ દેશના બધા વડાપ્રધાનોમાં રોલમોડેલ બનવા જોઈતા. નેહરુ ધાર્મિક, જાતિગત પૂર્વાગ્રહોથી પર હતા ને સ્પષ્ટ માનતા હતા કે ભારતીય સમાજમાં ધર્મએ ખુબ જ નકારાત્મક ભૂમિકા ભજવી છે. ભારતીય લોકશાહીના પાયામાં નહેરુની દૂરદ્રષ્ટ્રીને જશ આપતા ખુશવો નહેરુને 'ફાધર ઓફ ઈન્ડિયન કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રસી' ગણાવે છે. જોકે, ખુશવંતસિંહ નહેરુ આંધળા ભક્ત નહોતા. દરેક માણસ ભૂલ કરે છે ને નેહરુ પણ એમા અપવાદ નથી એવું એ કહેતા. ભાગલા મુદ્દે, વડાપ્રધાન પદ મુદ્દે, કાશ્મીર મુદ્દે નેહરુએ કરેલી ભૂલો ખુશવંતસિંહને યાદ હતી ને એટલે જ દેશના શ્રેષ્ઠ વડાપ્રધાનની એમની યાદીમાં નહેરુ કરતા મનમોહનસિંહને તેઓ વધારે માર્ક આપતા. બન્ને વડાપ્રધાનોની સરખામણી કરતા તેઓ લખે છે કે નેહરૂમાં વિઝન અને કરિશમા હતો. પણ તેમની માનવીય ભૂલો પણ એટલી જ હતીં. તેઓ હમેંશા અમેરિકાથી અળગા ને અને સોવિયેતને સલંગ્ન રહ્યાં હતાં. તેઓ ગુસ્સે પણ જલદી ભરાઈ જતા ને પોતાના મનગમતા માણસો માટે પક્ષપાત પણ ધરાવતા. જ્યારે ડૉ. મનમોહનસિંહ આ મામલે કોઈ પણ જાતના પૃર્વગ્રહરહિત છે. તેમના પર સગાવાદનો આોરોપ પણ મુકી શકાય એમ નથી. 

* * *

ખુશવંતસિંહ ખુદાના બંદા હતા ને એટલે જ સાંપ્રદિક્તા પ્રત્યે હમેંશા જ એમની કલમે આગ ઓકી હતી. હિંદુ રેડીકલ હોય, મુસ્લિમ જમાતો હોય કે ખાલિસ્તાની આતંક હોય, સરદાર ખુશવંતસિંહે ફન્ડૂશ (ફન્ડામેન્ટલિસ્ટો માટે ખુશ્વોના 'હાસ્યાસ્પદ'  શબ્દ)ના અણુબોમ્બ તૈયાર જ હોય. જોકે, એજ કલમે સેક્સ મુદ્દે હમેંશા શરારત કરી. અમુક જડસું અને મુરખ મહારાજોએ તેમને નિશાન બનાવ્યા. પણ એ અટકી નહીં. ભારત સરકાર વતી કામ કરતી વખતે પણ નહીં, હિંદુસ્તાન ટાઈમસ કે ઈલસ્ટ્રેટેડ વિકલી વખતે પણ નહીં. ફન્ડૂશો તરફથી તેમને ધમકી મળતી રહી. કલમ વધુ ને વધુ તેજ થતી રહી. તેમને પોલીસ પ્રોટેક્શન પણ પુરુ પડાયું પણ કલમનું તેજાબી પણું એ જ રહ્યું. અંત સુધી. મૃત્યું સુધી. ને મૃત્યુનો તો એ ઈન્તઝાર કરતા હતા... ગુલઝારના શબ્દોમાં કહીએ તો... 

मौत तू एक कविता है
मुझसे एक कविता का वादा है मिलेगी मुझको
डूबती नब्ज़ों में जब दर्द को नींद आने लगे
ज़र्द सा चेहरा लिये जब चांद उफक तक पहुँचे
 दिन अभी पानी में हो, रात किनारे के करीब
ना अंधेरा ना उजाला हो, ना अभी रात ना दिन
जिस्म जब ख़त्म हो और रूह को जब साँस आऐ
मुझसे एक कविता का वादा है मिलेगी मुझको

* * *

Here lies one who spared neither man nor God 
Waste not your teares on him, he was a sod 
Writing nasty things he regarded as great fun 
Thank the Lord he is dead, this son of a gun 

પોતાના સમાધી લેખ માટે ખુશવોએ તૈયાર કરેલી પંક્તિઓ

Saturday 1 February 2014

ઉપર આભ નીચે ધરતી, આ પણ છે ‘મહાજાતિ’ ગુજરાતી!



ચારેય બાજુ ઘનઘોર જંગલ...ક્ષિતિજો સુધી વિસ્તારાયેલા ડુંગરા વચ્ચે ટાઢાંપાડી દે તેવા તાપમાં... વિખરાયેલા બીજની જેમ ઉગી નીકળેલા મહુડાનાં વૃક્ષોની છાંયામાં દરિદ્રતાને પણ દયા આવી જાય એવો એક પરિવાર પોતાની બદહાલીની બદદૂઆ રજૂ કરે છે ને એ સાથે જ ઘરના નામે ચાર ખૂણે ઉભી કરેલી જંગલી લાકડીઓ અને તેને ફરતે વિંટાળેલી શણ અને માટીની દિવાલો  ડૂસકાં લેવા લાગે છે.

અવકાશી છતનો આધાર હશે કે એટલી
ઔકાતનહીં હોય એટલે વગર છતની એ ચાર પડદાં જેવી દિવાલો પર આકાશ ડોકીયું કરે છે. પરિવારના નસીબની જેમ વાંકાચૂકાથઈ પડેલા ચાર પાંચ ટીનના વાસણ અને સુટકેસ કહેવી કે કેમ તેની ગડમથલ ઉભી કરતી એક પેટીની બાજુમાં હાશકારો અનુભવવા ખાતર એક માટલું પડેલું છે. પરિવારના હાડકાં સટોસટ ચોંટી ગયેલી પેલી ચાર દિવોલાનાં ખૂણે બાંધેલી દોરી પર મેલાઘેલા ને તૂટેલા ફાંટેલા કેટલાંક કપડાં લટકાઈ રહ્યાં છે ને પવન સાથે એવી રીતે ઉડું ઉડું થઈ રહ્યાં છે કે જાણે આ દરિદ્રનારાયણોની મશ્કરી કરી રહ્યાં હોય!

જેને માથે છત ના હોય તેને દરવાજાઓની જરૂર નથી હોતી. એટલે જ આ પરિવારના ટૂંકા પડતાં પન્નાંની ચાર દિવાલોમાંથી એક દિવાલ એવી રીતે ટૂંકી કરાઈ છે કે એ પ્રવેશદ્વારાની ગરજ પૂરી પાડી દે. દરવાજા જેવી એ જગ્યાએ એક મા પોતાના નાના નાના ચાર સંતાનો સાથે દયામણી દાસ્તાન રજૂ કરે છે. પતિ કામે ગયો છે ને દિકરાને પણ સાથે લેતો ગયો છે.  બાપ-દિકરો જે કંઈ કમાઈ લાવે તેના આધારે છ જણાંનું જેમ તેમ કરીને પેટ ભરાય છે. પિતા સાથે કામ પર ગયેલો દિકરો 14 વર્ષે અહીં ભડભાદર થઈ જાય છે.

રોજ રાતે એ કહેવાતા ઘરમાં હાલ્લાં કુસ્તી કરે છે અને પાણી પેટ ભરે છે. આવી હાલત આ એક માત્ર પરિવારની જ નથી આજુ બાજુ વેર વિખેર થઈ ગયેલી કિસ્મત જેવા આવા જ અને ક્યાંક તો આને પણ સારા કહેડાવે તેવા ઘર (જો તેને ઘર કહી શકાય તો) ઉભેલા છે. ગામમાં લગભગ હર કોઈની આ જ હાલત છે. આ જ દાસ્તાન છે. આ જ કરમ કહાણી છે.

સબસહારન કન્ટ્રીઝ કે ઝારખંડ-છત્તિસગઢના કોઈ ગામડાંની કલ્પના લાગે એવું વરવું ઉદાહરણ લાગતી આ વાસ્તવિકતા છે ગુજરાતની... ભારતના જ ગ્રોથ એન્જીનગુજરાતની.
***

ગુજરાતના પંચમહાલ જિલ્લાનો જાંબુઘોડા તાલુકો આચ્છાદિત જંગલોથી ઘેરાયેલો છે. ચારેયકોર ઘનઘોર જંગલો અને કુદરતે મન ભરી પાથરેલા કુદરતી સૌંદર્યમાં ઉગેલા મહુડાનાં વૃક્ષો પ્રથમ નજરે જ મન મોહી લેવા પૂરતા છે. જોકે, ખૂબસુરતી હમેંશા કાતિલ હોય છે, તેમ આ જંગલો ખુંદી વળવા ઉતાવળા થતાં આ બ્લોગરબોયના પગોને અહીંની લોકવાયકા અને સભ્ય સમાજની સમજ રોકી દે છે. કારણ છે આ જંગલોમાં વસતી નાયકા-નાયકડાં કોમ.
નાયકા એટલે પંચમહાલ અને તેની આસપાસના જંગલોમાં વસવાટ કરતો આદિવાસી સમુદાય. આ સમુદાય અંગે એક એવી લોકવાયકાઓ પ્રચલિત છે કે જીભને જ લકવો મારી જાય! પંચમહાલ અને આસપાસના વિસ્તરોમાં નાયકાઓનું નામ પડે એટલે પોલીસ ચોપડે પન્ના ફાટી જાય. ક્યાંક ચોરીની દાસ્તાન, તો ક્યાંક લૂંટની કહાણી એક કહો તો હજાર સાંભળવા મળી જાય. ઠગકે અડધી રાતે ભમતી ભૂતાવળજેવા પુસ્તકોને પ્રેરણા પૂરી પાડનારા પરિબળો પણ આ જ કહાની-કિસ્સાઓ.

કહે છે કે સત્ય એ માત્ર આપણે સાંભળીએ, જોઈએ કે અનુભવીએ એટલું માત્ર નથી હોતું. સત્યની બીજી બાજુ પણ હોય છે ને કદાચ ત્રીજી ને ચોથી પણ હશે
! નાયકા આદિવાસીઓનું સત્ય પણ ખબર નહીં કેટલીય બાજુઓ ધરબીને બેઠું છે. જે ઉજાગર કરવા ભાગ્યે જ કોઈએ પ્રયાસ કર્યો છે. જેણે પ્રયાસ કર્યો છે, તે ભાગ્યે જ પ્રસાર કરી શક્યું. પ્રયાસ-પ્રસાર વચ્ચેની આ ખૂટતી કડીઓએ એવો તે ઘટનાક્રમ સર્જ્યો કે ગુજરાતનો એક આખો આદિવાસી સમાજ શ્રાપિત-શોષિત બની ગયો. 
***

લાઈબ્રેરીના થોથા અને અહીંના જંગલોના ઠૂંઠા વચ્ચે અટવાયેલા આ આદિવાસી સમાજના ઈતિહાસ ઓળખવા જહેમત કરવામાં આવે તો આશ્ચર્ય સાથે અનેક આસ્વાદો ઉભા થઈ જાય.
ગુજરાતના નાયકા-નાયકડાંનામના પુસ્તકમાં આ નાયકડાં આદિવાસીઓના મૂળિયા છેક દક્ષિણ એશિયામાં આર્યોના આગમન સુધી લંબાય છે. અહેવાલ લેખાકાર ગુલાબભાઈ પટેલના મતે ભારત તરીકે હાલમાં ઓળખાતી આ ધરતી પર આર્યોનું આગમન અહીં વસતા શ્યામવર્ણના મૂળ નિવાસીઓ સાથે સંઘર્ષના પરિણમ્યું. યુદ્ધ અને આયુધોમાં પાવરધા આર્યોના અત્યાચારોએ અહીંની મૂળ પ્રજાને જંગલોમાં અને પહાડીઓ પર રહેવા મજબૂર કરી દીધી. જંગલમાં ચાલી ગયેલી એ અનાર્ય પ્રજાના વંશજો એ જ આજના આપણા વનબંધુઓ.

અન્ય ભાગોમાં જે થયું તે હાલમાં ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશમાં પણ થયું. અહીં પણ આર્યોના પ્રવેશે મૂળ વસ્તી ડુંગરાળ અને જંગલ પ્રદેશમાં ભાગી ગઈ. એ સમયે હાલના રાજપીપળા, ડાંગ, વાસંદા, ધરમપુર વગેરે વિસ્તારોના ગાઢ જંગલોએ અહીંના મૂળ નિવાસીઓને સરંક્ષણ પુરૂ પાડ્યું. લેખકના મતે હાલના સમયમાં ભીલ, ગામીત, ચૌધરી, કુકણાં, વસાવા, વાવલી, રાઠવા, નાયક કે નાયકાં, દુબળા(હળપતિ) તેમજ ઘોડીયા જાતિ ધરાવતો આદિવાસી સમાજ એ જ આ દેશના મૂળ નિવાસીઓ.

ભારતના મેદાની પ્રદેશમાં આર્યોએ
સભ્ય સંસ્કૃતિનો વિકાસ કર્યો તો બીજી બાજુ, જંગલોમાં ચાલી ગયેલી અહીંની મૂળ પ્રજાએ પણ પોતાની આગવી સંસ્કૃતિ ઉભી કરી. જેમા સમાજની આગેવાની લેનારો નાયક કહેવાયો. જંગલમાં વસતા એ સમાજની જવાબદારી એ નાયકના શીરે આવી. એક બાજુ, અહીંના સપાટ મેદાની પ્રદેશોમાં આજના આર્યાવર્તના પાયા નખાઈ રહ્યાં હતાં તો બીજી બાજુ, જંગલોમાં આજે આદિવાસી કહેવાતી સંસ્કૃતિ પોતાની જાતને ટકાવી રાખવા પ્રયાસ કરી રહી હતી. ગંગા-જમુના ને નર્મદાના પાણી જેમ જેમ વહેતા ગયાં તેમ તેમ આર્યો આ ધરતીને અપનાવતા ગયાં. તેમનો ત્રાસ પણ ધીમે ધીમે ઓછો થતો ગયો. ને એ સાથે જ અનાર્ય પ્રજા આર્યોના સંપર્કમાં આવવા લાગી. ડુંગરો છોડી સપાટ પ્રદેશોમાં પ્રવેશવા લાગી.

ગુલાબભાઈના મતે સપાટ પ્રદેશ પર એ અનાર્ય પ્રજાનો કોઈ નાયક આવી વસ્યો અને તેના વંશજો દ્વારા ઉદ્દભવેલી કોમ તે આજના નાયકા-નાયકડાં. જોકે, આ માન્યતાને છાતી ઠોકીને સાબિત કરી શકાય એમ નથી.
ગુજરાતના નાયકા-નાયકડાંનામના પુસ્તકમાં નાયકોના મૂળની એક અન્ય માન્યતા પણ રજૂ કરાઈ છે. એ મુજબ કોઈ ક્ષત્રિય રાજાએ ભીલોના નાયકની કોઈ કન્યા સાથે લગ્ન કર્યાં હશે. જેના વંશજો નાયક કે નાયકડાં કહેવાયા હશે! આ માન્યતાનાં પ્રતિપાદન માટેના પુરાવારૂપે નાયકા સમુદાયના લગ્નનો હવાલો અપાય છે. નાયકા આદિવાસીમાં લગ્ન દરમિયાન વરરાજા ક્ષત્રિયોની જેમ જ કમરે તલવાર લટકાવે છે. આજના નાયકડાં આદિવાસીઓના મૂળ આ તર્કના આધારે કોઈ ક્ષત્રિય સુધી લંબાતા હોવાનું મનાય છે.

નાયકડાં આદિવાસીઓના ઓરિજીનને લઈને વધુ એક માન્યતા પ્રવર્તે છે. ચાંપાનેર જ્યારે હિંદુ રાજ્ય હતું ત્યારે અહીંની આદિજાતિ રાજના સૈન્યમાં નાયક તરીકે કામ કરતી હશે. બાદમાં જ્યારે મુસ્લિમોએ ચાંપાનેરને લૂંટ્યું ત્યારે આ આદિજાતી હાલમાં વડોદરા, સુરત તેમજ આસપાસના જંગલોમાં ભાગી ગઈ હશે. આ માન્યતાને આધાર આપવા માટે વર્તમાન સમયનો હવાલો અપાય છે. વર્તમાન સમયમાં નાયકડાં આદિવાસીઓની મુખ્ય વસ્તી પણ આ સંબંધિત વિસ્તારોમાં જ વસે છે. વળી, નાયકડાં આદિવાસીઓ સૈનિક હોવાના પ્રત્યેક કે પરોક્ષ પુરાવાઓ પણ મળી આવે છે. નાયકો દ્વારા કરાયેલા ને ઇતિહાસમાં અંકાઈ ગયેલા કેટલાય બળવાઓ પણ આ માન્યતાના આધાર રૂપે રજૂ કરાય છે.

જોકે, આ બધી માન્યતા-વાસ્તવિકતાથી અલગ જ વાત રજૂ કરે છે જાંબુઘોડના પત્રકાર સ્વ.કિશોરભાઈ જાની. વિજેતા દ્વારા ને વિજેતાઓના જ લખાતા ઈતિહાસની દુહાઈ દેતા જાનીદાદા આ આદિવાસી સમુદાયને 1857ના હિરોઈક વોરિયર્સ તરીકે રજૂ કરે છે. નાયકાઓના મૂળ સુધી પહોંચવા માટે જાનીદાદા છેક મુઘલકાળની પડતી સુધી દોરી જાય છે. મુઘલોનો સૂર્ય જ્યારે અસ્ત થઈ રહ્યો હતો ત્યારે મરાઠાઓ પોતાની શક્તિ ને સામ્રાજ્યો વિસ્તારી રહ્યાં હતાં.
દિલ્હી દરબાર નબળો પડતા ગુજરાત ને તેની આસપાના વિસ્તારોમાં સર્જાયેલી અરાજકતાનો લાભ મરાઠાઓએ ઉઠાવ્યો. ગુજરાતના વિવિધ પ્રદેશોમાં મરાઠા સરદારો ચડી આવ્યા ને અહીં મરાઠી ઝંડાઓ ફરકાવવા લાગ્યા.

તેમના મતે હા
લમાં નાયકાઓનું જે મુખ્ય મથક ગણાય છે તે પંચમહાલના જાંબુઘોડા અને તેની આસપાસના વિસ્તારો મરાઠા સરદાર કંથાજી ભાંડેના પુત્ર કૃષ્ણાજીના અંકુશ તળે આવ્યા. સમય જતા મરાઠા સરદારો વચ્ચે સમજૂતી સધાઈ. આ પ્રદેશ પર ગ્વાલિયરના મહાદજી સિંધીયાની આણ વર્તાવા લાગી. આ એ જ સમયગાળો હતો કે જ્યારે દક્ષિણ ભારતના ખાનપ્રદેશમાંથી નાયક કોમ મરાઠા સરદારોનાં સાથીદારો તરીકે આ પ્રદેશમાં પહોંચી ને અહીં જ વસી ગઈ. નાયકા લોકોનો શારીરિક બાંધો અને તેની આદિવાસી બોલીમાં વર્તાતી મરાઠી ભાષાની છાંટ આ માન્યતામાં રહેલી વાસ્વિકતાના અંશ તરીકે રજૂ કરવામાં આવે છે.

જાંબુઘોડાના સ્થાનિક પણ
પ્રકાંડ પત્રકાર સ્વ.કિશોરભાઈ જાનીની માન્યતાને મળતી આવે એવી એક થિયોરી ભીલ સેવા મંડળના અગ્રગણ્ય અંબાલાલ વ્યાસ પણ રજૂ કરે છે. હાલોલ તાલુકાના આદિવાસી વિસ્તારો ખૂંદીને ભેગી કરેલી માહિતી મુજબ અંબાલાલ વ્યાસ જણાવે છે કે દક્ષિણ ભારતના કોંકણ વિસ્તારમાં નાયકડાંનામની જાતિ વસે છે. આજના આપણાં નાયકો એ જ જાતિમાંથી ઉતરી આવ્યાં હોય તેવું પણ બની શકે!

જોકે, આટલી બધી માન્યતાઓ અને મતમતાંતરોનું કારણ છે નાયકાઓના સળંગ ઇતિહાસ મુદ્દે ઈતિહાસકારોએ દાખવેલી ઉદાસીનતા. નાયકાઓ અંગે જેટલી પણ માહિતી પ્રાપ્ત થઈ શકે છે એ બધી જ અંગ્રેજોના ભારતગમન બાદની હોવાનું જાણવા મળે છે. સ્થાપિત હિતો ને ઉજળીયાતોના ઓટલે બેસી લખ્યા કરનારાઓ ઈતિહાસકારોને ભાગ્યે જ આ આદિવાસી સમુદાયના અતિતમાં રસ પડ્યો છે.

પણ, આ આદિવાસી વિસ્તારોમાં રખડી-ભટકી આયખુ પૂરી કરી દેનારા જાનીદાદાને નાયકાઓની દાસ્તાન ઉજાગર કરવા ભગીરથી પ્રયાસો કર્યા છે. તેમની કલમે લખાયેલા નાયકાઓના ઇતિહાસના પન્નાં ઉચકતાં ઉચકતાં છેક 1818ના અરસામાં પહોંચી જવાય છે. આ એ સમયગાળો હતો કે જ્યારે ભારતમાં કંપની સરકારના પરચમ લહેરાવવા લાગ્યા હતા ને રોફ મારી ફરતા દેશી રજવાડાઓ અંગ્રેજોની જીહજૂરી કરવા લાગ્યાં હતાં. કંપની સરકારની આણ સતત વધતી જતી ને શામ, દામ, દંડ ભેદ સાથે સ્વતંત્ર રજવાડાઓ કંપની સરકારને આધીન થઈ રહ્યાં હતાં. આવે સમયે જંગલોમાં વસતી આ આદીજાતીએ અંગ્રેજોની જોહુકમી માનવાનો ઈન્કાર કરી દીધો. અંગ્રેજો-રજવાડાઓ સાથે નાયકાઓ સીધા જ સંઘર્ષમાં ઉતરી આવ્યા.

તસવીરમાં નહેરુ જેકેટ પહેરેલા સ્વ.જાનીદાદા. 
એક બાજુ સ્વતંત્રતા માટે મરી ફિટવાની તૈયારી તો બીજી બાજુ અત્યાચારોને ને જોરજુલ્મોની પરાપૂર્વથી ચાલી આવતી હોશિયારી. અંગ્રેજોની દોગલાઈ ને રજવાડાઓની બેમર્યાદિત સંપતિ સામે વનાશ્રિત આદિવાસીઓ કેટલું ટકે
? નાયકાઓનો ખો નીકળવા લાગ્યો. તેમનો સામાજિક બહિષ્કાર શરૂ કરી દેવાયો. વારે ઘડીએ થતા ધીંગાણા ને અંગ્રેજો ને રજવાડાઓના ચડી આવતા ધાડાએ નાયકાઓને પાયમાલ કરી દીધા. સ્વતંત્રતા માટેની લડાઈ ભૂખ સામે લડવા લાગી. સંજોગો એવા સર્જાઈ ગયા કે નાયકાઓને કોઈ સ્વીકારવા તૈયાર નહોતા ને નાયકાઓ પાસે લાદી દેવાયેલું ચોર ને લૂંટારાઓનું બિરૂદ સ્વીકારવા સિવાય છૂટકો નહોતો. આખરે તેમણે એ જ બિરુદનો સ્થાપિત હિતો વિરુદ્ધ બારૂદની જેમ ઉપયોગ કર્યો. 1838ના સમયગાળા દરમિયાન નાયકાઓએ કાળોકેર વર્તાવી દીધો. રજવાડાઓએ નાયકોને 'દેખો ત્યાં ઠાર' મારવાનો આદેશ આપી દીધો. સરકારી સૈન્યે અસંસ્કારીઅને’ ‘લૂંટારુઓવિરુદ્ધ સંસ્કારીતાની ઐસીતૈસી કરીને ક્રૂરતાની હદ વટાવી દીધી. રજવાડી સૈન્યોએ નાયકાઓને વીણી-વીણીને મારવાનું શરૂ કરી દીધું. આ આદિવાસીઓને ઝાડ સાથે ખીલા વડે જડી દેવામાં આવ્યાં. અસંખ્ય નાયકોના માથા વાઢી નાખી રજવાડી ચોકોમાં તોરણ રોપાયા.

આવામાં અંગ્રેજો ને રજવાડાઓ વિરુદ્ધ ઉઠેલા આદિવાસી અવાજને ક્રાંતિની મશાલ બનાવી રૂપસિંહ નાયકે. નાયકાઓને સંગઠીત કરી, શસ્ત્રસજ્જ કરી રૂપસિંહે ફોજ ઉભી કરી. રૂપસિંહની આ લડાઈમાં તેને જોરીયા પરમેશ્વર નામના એક ચમત્કારિક નાયકનો સહકાર મળ્યો. ને અંગ્રેજોના નાકે દમ આવી ગયો. બોમ્બે ગેઝેટિયરના હવાલા તપાસીએ તો જાણવા મળે કે 1858માં ભાઉ સાહેબ પવાર સાથે મળીને રૂપસિંહને તેમના નાયકાઓની ફોજે બ્રિટિશરોને નવ નેજે પાણી લાવી દીધા. નાયકાઓની આ લડાઈમાં તેમને તાત્યા ટોપેના ભાગેલા લશ્કરની ટુકડીઓનો પણ સાથ મળ્યો. જેના પરિણામ સ્વરૂપ ચાંપાનેર અને નારૂકોટ વચ્ચેના વિસ્તારોમાં આ આદિવાસી સૈન્યે કબજો જમાવી લીધો. 1858ના એ શિયાળામાં આ આદિવાસી વિદ્રોહને નાથવા પોલિટિકલ એજન્ટને કર્નલ વોલેસની નિમણુક કરવી પડી. જોકે, મરણીયા બનેલા નાયકાઓ સામે તેની કોઈ અસર ના થઈ. એટલું જ નહીં, એક સુબેદાર સહિત અંગ્રેજ સૈન્યના સાત સૈનિકોને નાયકડાંઓની ફોજે ઠાર માર્યા. 11ને ઘાયલ કરી નાખ્યા. ક્રાંતિનો આ એ સમય હતો કે જ્યારે 1857ના વિપ્લવને નિષ્ફળ બનાવનારા અંગ્રેજોને આદિવાસીઓ ઔકાત બતાવી રહ્યાં હતાં. 1838થી 1868 દરમિયાન રૂપસિંહે જાંબુઘોડા, છોટાઉદેપુર, જેતપુર, અને એવા જ દેશી રજવાડાઓને પારેવાની માફક ફફડાવ્યા.

જોકે, સ્વંત્રતા માટે લડનારા આ નાયકડાં આદિવાસીઓને એ લડતની બહુ મોટી કિંમત ચૂકવવી પડી. અંગ્રેજોએ અને દેશી રજવાડાઓએ એક સાથે મળીને નાયકા જાતિ પર હુમલો કરી નરસંહાર આરંભી દીધો. સેંકડોનાં હિસાબમાં નાયકોને મારીને નર્મદા નદીમાં ફેંકી દેવાયા. અંગ્રેજોની ચાલાકી, દેશી રજવાડાઓની બેમર્યાદિત સંપતિ અને ક્રૂર કૂરતાએ કામણ કર્યા ને આદિવાસી વિપ્લવને દાબી દેવાયો. સ્વતંત્રતા માટે લડવાની કિંમત આ આદિવાસીઓને દેશને સ્વતંત્રતા મળ્યા બાદ પણ ભોગવવી પડી. ઈતિહાસના ચોપડે નાયકડાંઓને કાયમ માટે લૂંટારા, લોહી તરસ્યા, હત્યારા ચીતરી દેવાયા.

ઈતિહાસની એ ઘડી ને આજની હકીકત. પંચમહાલ અને તેની આસપાસના આદિવાસી વિસ્તારમાં વસતી નાયક જાતિ આજે પણ સામાજિક તિરસ્કારનો ભોગ બનેલી છે. એક સમયની આ વીર કોમ આજે ખાસ પ્રકારની અસ્પૃશ્ય’  બની ગઈ છે. નાયકડાંઓ વિરુદ્ધ વહેતી કરાયેલી સાચી ખોટી વાતોએ પરિસ્થિતિ એવી ઉભી કરી છે આજે નાયકડાં આદિવાસીઓના ગામોમાં ન તો વીજળી છે, ન પાકા રસ્તા કે ન રોજગારીની તકો. વાત એટલે સુધી વણસી ગઈ છે કે કમળના મૂળિયા વેંચીને જેમ તેમ કરીને બે ટંકનું પુરૂ કરવામાં આવે છે.

સામાજીક સુગમાં સરકારી ઉપેક્ષાએ મોણ નાખ્યું છે. ભાગ્યે જ કોઈ સરકારી બાબુ અહીંના ગામડે પહોંચ્યો છે. ને પહોંચ્યો છે તો ભાગ્યે કંઈ કામ કરી બતાવ્યું છે. પરિણામ એ આવ્યું છે કે આજે નાયકાઓના ગામડાંઓ સાવ ભૂખડી બારસ બની ગયાં છે. જ્યાં માત્ર રાતે જ નહીં, દિવસે પણ
ભમતી ભૂતાવળ નજરે પડી જાય છે.

... ને આ બધા વચ્ચે તાયફામાં મશગુલ રહેતું સરકારી તંત્ર નિંભર બનીને નાયકા આદિવાસીઓ પ્રત્યે થયેલો અન્યાય ભૂલી સામાજીક સૌહાર્દના
, સુસંસ્કૃત વિકાસના ને વિકાસની હરણફાળની શેખચીલ્લી મદમાં મદમસ્ત મહાલ્યા કરે છે. બીજી બાજુ,  નાયકોના ગામોમાં ઉગતીવીજળી વગરની અંધારી રાત ભૂલાયેલા ભૂતકાળના અને ગરવીલા ઈતિહાસનાં મરસીયા ગાતી, ડૂસકાં લેતી ગુમસુમ બેસી રહે છે.


divyabhaskar.com માટે બનાવેલી સ્ટોરી સુધારા વધારા સાથે...

લિંક
 

http://www.divyabhaskar.co.in/article/GUJ-GNG-the-riality-and-forgotten-history-of-nayka-community-of-gujarat-4342958-PHO.html