Friday 1 November 2013

ભગતસિંહનાં ‘અછૂત’વિચારોઃ આજ તું હોતા તો યહ ના હોતા! (પાર્ટ-2)



સરદાર પટેલ અને સેક્યુલરિઝમ, મુઝફ્ફરનગરનાં હુલ્લડો અને ફંડામેન્ટલિઝમ, જમીનમાં છુપાયેલો ગુપ્ત ખજાનો અને ઓવર ફેનેટિઝમ જેવા મુદ્દાઓ આગળ ધરીને ક્યાંક મહામાનવનાં નામે રાજકીય રોટલાઓ શેકીને તો ક્યાંક ધાર્મિક કટ્ટરવાદ કે અંધશ્રદ્ધા ઓકીને પોતપોતાના ઉલ્લુઓ સીધા કરવામાં ઊંધા વળી ગયેલા દેશમાં મદ્રાસ હાઈકોર્ટે એક બહુ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો. 'મંદિરમાં પ્રાર્થના ન કરવાથી કોઈ હિંદુને બિનહિંદુ ઠેરવી શકાય નહીં' એવો ઐતિહાસિક ચુકાદો આપતી વખતે હાઈકોર્ટે ધર્મનાં ઠેકેદારોને જનોઈવઢ 'ફટકાર્યા'. અલબત્ત, આ સમગ્ર કેસ પાછળ પણ ભારતનાં મૂળિયા ઉખાળવાં ઉતાવળાં થયેલાં 'પૅટી પોલિટિક્સ'પોતાનો યથાયોગ્ય ફાળો આપ્યો હશે જ! પણ ઈસ્યુ એ છે કે હિંદુધર્મનાં ઠેકેદારોએ જેને ક્યારનોય 'નોન ઈસ્યુ' ગણાવી દીધો છે એ 'અછૂતોનો પ્રશ્ન' હવે દલિત સમસ્યાનાં નામે સામે આવી ગયો છે. લોહી ચૂસતા જળોની જેમ હિંદુધર્મનો હાર્દ ચૂસી રહેલો અસ્પૃશ્યતાનો અભિશાપ હજ્જારો વર્ષ બાદ અને આઝાદીનાં આટલા વર્ષેય કેડો મુકવા તૈયાર નથી.

દેશની આ મહાસમસ્યાનાં મૂળ આપણી સમાજવ્યવસ્થા અને ધાર્મિકવ્યવસ્થામાં રોપાયેલા છે, જેને ઉખાડવાંનાં 'પ્રામાણિક પ્રયાસો' કરનારા 'સમાજસુધારકો'ને ફાઈવ સ્ટાર હોટેલ્સ કે એ.સી હોલમાં આઇસ્ક્રીમ ઝાંપટ્યાં સિવાય(નાં) 'વિચાર' નથી આવતાં. કોઈકને ધાર્મિક અંધવિશ્વાસ રોકે છે, તો કોઈને વળી સમાજનો વિશ્વાસ, ક્યાંક વળી આધ્યાત્મનો અર્થ આગળ કરાય છે તો ક્યાંક વળી સ્વાર્થ. આ જ માનસિક્તા ને આ જ માનહાની પર લગભગ નવેક દાયકા પહેલા ભગતસિંહે પોતાનાં 'શેરદિલ વિચારો' રજૂ કર્યાં હતાં. એ વિચારો એટલે આ બ્લોગની લાસ્ટ પોસ્ટ 'ભગતસિંહનાં 'અછૂત' વિચારોઃ આજ તું હોતા તો યહ ના હોતા!'... અને એ પોસ્ટનું અનુસંધાન એટલે...

*

....હવે વધુ એક પ્રશ્ન ઉભો થાય છે કે આ સમસ્યાનો ઉકેલ શું? તેનો જવાબ બહુ જ મહત્વનો છે. સૌ પ્રથમ તો એ નિર્ણય કરી લેવો જોઈએ કે માણસ માત્ર સમાન છે. જન્મથી કે કાર્ય-વિભાજન દ્વારા તેને અલગ પાડી શકાય નહીં. મતલબ કે એક માણસ કે જે ગરીબ મહેતરનાં ઘરે પેદા થયો તો તે આખું જીવન માથે મેલુ જ ઉપાડશે અને દુનિયાનું કોઈ પણ પ્રકારનું વિકાસનું કામ મેળવવાવો એને કોઈ અધિકાર નથી એ વાત સાવ ખોટી છે. આવી જ રીતે આપણા પૂર્વજો આર્યોએ તેમની સાથે આવો જ અન્યાયપૂર્ણ વ્યવહાર કર્યો અને તેમને નીચ ગણીને ધુત્કારી દીધા. તેમની પાસે હલકુકામ કરાવવા લાગ્યાં. જોકે, તેઓને એ પણ ચિંતા થઈ કે કદાચ તેઓ વિદ્રોહ કરી બેસે તો?  એટલે પુનર્જન્મનાં દર્શનનો પ્રચાર શરૂ કરી દીધો. તેમને એવું ઠસાવવામાં આવ્યું કે આ તો તમારા ગત જન્મોના પાપનું ફળ છે. હવે શું થઈ શકે? ચૂપચાપ દિવસો કાઢો! ને આવી રીતે તેમને ધીરજ ધરવાનો સુફિયાણો ઉપદેશ આપી દેવાયો. તેઓને લાંબા સમય સુધી શાંત કરી દેવાયા. પણ, તેમણે બહુ મોટુ પાપ કરી દીધું. માનવીની અંદરની માનવતાને મારી નાખી. આત્મવિશ્વાસ તેમજ સ્વાવલંબનની ભાવનાને જ સમાપ્ત કરી દીધા. બહુ જ શોષણ અને અત્યાચાર કરાયો. આજે એ બધાનું પ્રાયશ્ચિત કરવાનો વખત છે.

આ દરમિયાન એક બહુ મોટી ગરબડ એ થઈ ગઈ કે લોકોમાં જરૂરી કામો પ્રત્યે ધૃણા પેદા થઈ ગઈ. આપણે વણકરને પણ ધુત્કાર્યો. આજે વણકર ને પણ અછૂત સમજવામાં આવે છે. યુ.પી.માં કહાર પણ અછૂત ગણાય છે. પરિણામે ભારે ગરબડી સર્જાઈ. વિકાસની પ્રક્રિયામાં અડચણો પેદા થઈ ગઈ.
આ બધા તબક્કાઓને પોતાની નજર સમક્ષ રાખીએ તો જરૂરી બની રહે છે કે આપણે ના તો તેઓને અછૂત કહીએ કે ના તો સમજીએ. બસ, સમસ્યાનો ઉકેલ આવી જશે. નૌજવાન ભારત સભા અને નૌજવાન કોંગ્રેસે તો આ જે વલણ અપનાવ્યું છે, તે બહુ જ ઉમદા છે. જેઓને આજ સુધી અછૂત કહેવામાં આવ્યાં તેઓ સમક્ષ આ પાપો માટે ક્ષમા-યાચના માગવી જોઈએ. તેમને પોતાના જ જેવા માનવી સમજવા, વગર અમૃતપાનકરાવ્યે , વગર કલમા પઢાવ્યે કે શુદ્ધિ કર્યે પોતાનામાં સામેલ કરી તેમના હાથે પાણી પીવામાં આવે એ જ યોગ્ય રીત છે.

જે સમયે ગામડાઓમાં મજૂર-પ્રચાર શરૂ થયો તે સમયે ખેડૂતોને સરકારી માણસો એવું કહીને ઉકસાવી રહ્યાં હતાં કે જૂઓ, આ ભંગી-ચમારોને માથે ચઢાવી રહ્યાં છે. એ તમારૂ કામ બંધ કરાવી દેશે. બસ, ખેડૂતો આટલી વાતથી જ ભડકી ગયાં. તેમણે એ વાત યાદ રાખવી જોઈએ કે જ્યાં સુધી તેઓ આ ગરીબોને નીચ સમજી અને કમીન કહીને પોતાની પગ નીચે દબાવી રાખવા ઈચ્છે છે ત્યાં સુધી તેમની પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન નહીં આવે. હંમેશા કહેવાય છે કે તેઓ સ્વચ્છતાં નથી જાળવતાં. તેમનો જવાબ સ્પષ્ટ છે કે તેઓ ગરીબ છે. ગરીબીનું નિદાન કરો. ઉંચ કુળનાં ગરીબ લોકો પણ કંઈ ઓછા ગંદા નથી હોતો. ગંદું કામ કરવાનું બહાનું પણ ચાલી શકે તેમ નથી. કારણ કે પોતાના બાળકોનું મેલું સાફ કરનારી માતાઓ તો મહેતર કે અછૂત નથી બની જતી!

પણ, આ કામ ત્યાં સુધી નથી થઈ શકવાનું કે જ્યાં સુધી અછૂત સમાજ પોતાને સંગઠિત ના કરી લે. અમે તો માનીએ છીએ કે તેઓનું સ્વયંને અલગ સંગઠિત થવું ને મુસ્લિમોની બરાબર સંખ્યામાં હોવાથી એમના બરાબર હકની માગ કરવી આશાજનક સંકેત છે. કાં તો સાંપ્રદાયિક ભેદભાવની માથાકૂટને જ ખતમ કરી દો અથવા તો તેમને અલગ અધિકારો આપી દો. કાઉન્સિલ્સ અને એસેમ્બ્લીઝની ફરજ છે કે સ્કૂલ-કોલેજીસ, કૂવા તથા રસ્તાનો ઉપયોગ કરવાની તેમને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવે. માત્ર કહેવા પૂરતી નહીં પણ સાથે ચાલીને તેઓને કૂવા પર ચઢાવે. તેમના બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાવે. પણ, જે લેજિસ્લેટિવમાં બાળ વિવાહના વિરુદ્ધમાં રજૂ કરાતા બિલ તથા ધર્મના નામે હોબાળો મચી જાય છે, ત્યાં તેઓ અછૂતોને પોતાનાં સાથે સામેલ કરવાનો વિચાર કઈ રીતે કરી શકે?

અને એટલે જ અમે માનીએ છીએ કે તેમના પોતાના જનપ્રતિનિધિ હોય. તેઓ પોતાના માટે અધિક અધિકાર માગે. અમે તો સ્પષ્ટ કહીએ છીએ કે ઉઠો! અછૂત કહેવાતા સાચા જનસેવકો તથા ભાઈઓ! પોતાનો ઇતિહાસ જૂઓ! ગુરૂ ગોવિંદસિંહનાં સૈન્યની ખરી તાકત તમે જ હતાં! શિવાજી તમારા પ્રતાપે એ બધું કરી શક્યાં જેના કારણે આજે પણ તેમનું નામ અમર છે. તમારા બલિદાનો સ્વર્ણ અક્ષરે લખાયેલા છે. તમે જ તો નિત્યપ્રતિ સેવા કરીને જનતાનાં સુખોમાં વધારો કરી, તેમનું જીવન શક્ય બનાવી, બહુ મોટો ઉપકાર કરી રહ્યાં છો, જેને અમે લોકો નથી સમજતાં. લેન્ડ-એલિયેશન એક્ટ અનુસાર તમે ધન ભેગું કરીને પણ જમીન ખરીદી શકો એમ નથી. તમારા પર એટલાં અત્યાચારો થઈ રહ્યાં છે કે મિસ મેયો(મિસ મેથેરિન મેયો, પુસ્તકઃ મધર ઈન્ડિયા) કહે છે કે ઉઠો આપની શક્તિ ઓળખો. સંગઠિત થઈ જાવ. વાસ્તવમાં જાતપ્રયત્નો કર્યા વગર કશું  જ મળી નહીં શકે. સ્વતંત્રતા માટે સ્વાધિનતા ઈચ્છનારાઓએ પ્રયત્ન કરવો જોઈએ. માણસજાતને એવી ટેવ પડી ગઈ છે કે તે પોતાના માટે તો વધારે અધિકાર ઈચ્છે છે પણ, જેઓ તેને લાયક છે, તેમને તેઓ પગની જૂતીનીચે દબાવી રાખવા ઈચ્છે છે. કહેવત છે ને કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે’. મતલબ કે સંગઠિત બની, પોતાના પગ પર ઉભા રહી, આખા સમાજને પડકાર ફેંકો. આવું થશે ત્યારે કોઈ પણ તમને તમારા અધિકાર આપવાનો ઈન્કાર કરવાની હિંમતસુદ્ધા નહીં કરી શકે. તમે બીજાનો હાથો ના બનો. બીજાની આંખે જોવાનું બંધ કરો. નોકરશાહીની જાળમાં ન ફસાઓ. તેઓ તમારી કોઈ પણ જાતની મદદ કરવા નથી ઈચ્છતી, માત્ર તમને પોતાનું મ્હોરું બનાવવા ઈચ્છે છે. આ જ મૂડીવાદી નોકરશાહી તમારી ગુલામી અને ગરીબીનું સાચું કારણ છે. એટલે તેઓ સાથે ક્યારેય મળતા નહીં. તેમની ચાલથી ચેતતા રહેશો તો જ બધુ ઠીક થશે. તમે જ ખરા સર્વહારા છો... સંગઠિત થઈ જાઓ. તમારું કોઈ કંઈ બગાડી શકવાના નથી. સામાજિક આંદોલન દ્વારા ક્રાંતિ પેદા કરી દો અને રાજકીય તેમજ આર્થિક ક્રાંતિ માટે તૈયારી કરી લો. તમે જ દેશનો મુખ્ય આધાર છો. વાસ્તવિક શક્તિ છો. ઉંઘેલા સિંહો! ઉઠો અને વિદ્રોહ કરી દો.


*


હવે સાચી દિશામાં
થોડાક માનવકલાકો વપરાશે તો વેડફાશે નહીં
,
થોડુંક લોહી રેડાય તો વ્યર્થ નથી
,
થોડીક આગ લાગે તો વાજબી છે.
ડુક્કરોની સંસદ પર એક વિશેષ બોમ્બ ઝીંકવાનો હજુ બાકી છે.
કાન હજુ પણ બહેરા છે.
-ગણપત વણકર

Friday 27 September 2013

ભગતસિંહનાં ‘અછૂત’વિચારોઃ આજ તું હોતા તો યહ ના હોતા!



હવા મેં રહેંગી મેરે ખ્યાલ કી બીજલી,
યે મુશ્તે ખાક હૈ, ફાની રહે યા ના રહે.

હજુ પચ્ચીસી પણ પુરી ન કરી હોય એવું આજનું યુથ શેમા મશગુલ હશે
? વોટ્સએપ પર! ફેસબુક પર! કે ટ્વિટર પર!  કદાચ કોલેજ બંક કરવામાં અને જો કોઈ રણ્યું ધણ્યું બાકી હશે તો રંગીન સપનાઓ જોવામાં! આ ઉંમર જ છે એ મુગ્ધતાની, મનમોહક સહવાસની ને મોજીલા થઈ ફાટતા ફરવાનીપણ, મુગ્ધ કરી મુકતી આ ઉંમરે જો કોઈ ક્રાંતીની, સત્તા-સમાજ પરિવર્તનની, વિશ્વ બંધુત્વની, માર્ક્સવાદની વાત કરે તો? તો ચોક્કસ એનું ચસકી ગયું હોવાનું!!!

...અને એનું પણ ચસકી ગયું હતું. વર્ષોથી ગુલામીની બેડીઓમાં ઝકળાયેલા રહેલા નિર્વિર્ય સમાજને જોઈને એનું ચસકી ગયું હતું. ઢંગધડાં વગરનાં ધાર્મિક પાખંડો અને તેને કારણે આવેલી પરાધીનતાથી એનું ચસકી ગયું હતું. મધપુડાને આદર્શ માનતી સમાજ વ્યવસ્થાની સ્થૂળતાથી એનુ ચસકી ગયું હતું અને એટલે જ
તાજે સર્જેલી તારાજીએ એની પીન છટકાવી દીધી હતી.

તવારીખ ગવાહ છે કે માથાફરેલાઓએ જ ઈતિહાસ લખ્યો છે અને એણેય ઈતિહાસ લખ્યો હતો. ફાટફાટ થતી યુવાનીમાં, ગુલામ દેશમાં એની આઝાદ જવાનીમાં. બહેરા કાનોને સંભળાવવા
ધમાકેદાર ઇતિહાસ લખ્યો. ભગતસિંહે પોતાનો અને પોતાના દેશનો ઈતિહાસ પોતાના હાથે લખ્યો. લાલ લોહીની જ્વાળાઓ ઓકતી લાલકલમથી લખ્યો. સુપ્રીમ સેક્રિફાઈસ કરનારા એ શહિદ-એ-આઝમ પર હજ્જારો વર્ષોથી લખાયું છે. લખાતું રહેશે. ફિલ્મો બની છે ને બનતી રહેશે. ચર્ચા થઈ છે ને થતી રહેશે. ભગતના વિચારો કેટલા જલદ હતા એ હરકોઈ જાણે છે. એણે ક્રાંતિ પર, રાષ્ટ્ર પર, વિશ્વ પર, શોષણ પર, ધર્મ પર અને સમાજ પર એમ લગભગ દરેક વિષયો પર લખ્યું છે. ક્રાંતિકારી લખ્યું છે.

પણ, કેટલાને ખબર છે કે ભગતસિંહે અછૂતો પર, અછૂત સમસ્યા પર પણ ગહન ચિંતન કર્યું હતું. એટલુ કે
છોતરા કાઢી નાખે એવું જલદ. એ જલદ આક્રોશનું બેકગ્રાઉન્ડ બન્યું કાકીનાડા કોંગ્રેસ અધિવેશન બાદ દેશમાં ઉભો થયેલો માહોલ. વાત જાણે એમ હતી કે કાકીનાડામાં 1923માં કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું. જેમા મહમ્મદ અલી જિન્નાએ પોતાના ભાષણમાં એ સમયે અછૂત તરીકે ઓળખાતી જાતિઓને હિંદુ-મુસ્લિમ મિશનરી સંસ્થાઓમાં વહેંચી દેવાની સુફિયાણી સલાહ આપી. એ સમયે બન્ને ધર્મના ધુરંધરો, પૈસાવાળાઓએ આ ભેદભાવની આગમાં ઘી હોમવા માટે નાણાની કોથળી ખુલ્લી મુકી દેવા તૈયારી બતાવી. આમ અછૂતોનાં એ હમદર્દો ધર્મનાં નામે એ 'બિચારાઓ'ને ભાગે પડતા વહેંચી લેવા ઉતાવળા થયાં.

એ સમયે દેશ આખામાં આ અંગે ચર્ચા ચકડોળે ચડી હતી. વિવાદનો વંટોળ ફૂંકાયો હતો અને એવામાં ભગતસિંહે એક લેખ લખ્યો.
અછૂતનો પ્રશ્ન’... એ સમયે 1928ના અમૃતસરથી પ્રસિદ્ધ થતાં કિરતીમાં એ છપાયો. જેમાં ભગતે મજૂરવર્ગની શક્તિની સરહદોનું આંકલન કર્યું. તેમની પ્રગતિ માટે કેટલાક ભગીરથી ઉકેલો આલેખ્યાં. વીસમી સદીના ત્રીજા દાયકામાં લખાયેલો એ લેખ આજે 21મી સદીના પ્રથમ દાયકાઓમાં પણ એટલો જ સાંપ્રત છે. ત્યારે સ્થાપિત હિતો જરા સંભાળીને...હીઅર આર ધી વર્ડ્ઝ ઓફ ધી ગ્રેટ કોમરેડ ભગતસિંહ...
                                     
*
આપણા દેશ જેવા ખરાબ હાલ દુનિયાનાં કોઈ બીજા દેશના નથી થયા. અહીં વિચિત્ર પ્રશ્નો ઉઠતા રહે છે. આમાનો એક મહત્વનો પ્રશ્ન એટલે અછૂત-સમસ્યા. સમસ્યા એ છે કે 30 કરોડની વસ્તી ધરાવતાં દેશમાં જે 6 કરોડ લોકો અછૂત કહેવાય છે, તેમના અડવા માત્રથી ધર્મ ભ્રષ્ટ થઈ જશે. મંદિરોમાં તેમનો પ્રવેશ દેવોની નારાજગી નોતરી દેશે. કૂવામાંથી તેમના દ્વારા પાણી ભરાશે તો કૂવો અભડાઈ જશે. આ બધા પ્રશ્નો વીસમી સદીમાં પૂછાઈ રહ્યાં છે. જેને સાંભળવા માત્રથી માથું શરમથી ઝૂકી જાય છે.

આપણો દેશ બહુ જ આધ્યાત્મવાદી છે પણ આપણે માનવીને માનવીનો દરજ્જો આપતાં પણ અચકાઈએ છીએ. જ્યારે બીજી બાજુ, સંપૂર્ણપણે ભૌતિકવાદી કહેવાતું યુરોપ સદીઓથી ક્રાંતિનો અવાજ બુલંદ કરી રહ્યું છે. તેમણે અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિ દરમિયાન જ સમાનતાનું એલાન કરી દીધું હતું. આજે રશિયાએ પણ દરેક જાતના ભેદભાવ ભૂલીને ક્રાંતિ માટેની તૈયારીઓ કરી લીધી છે પણ આપણે હમેંશથી આત્મા-પરમાત્માનાં અસ્તિવને લઈને ચિંતા કરતાં રહ્યાં અને એ અંગેની ચર્ચામાં ગુંચવાયેલા રહ્યાં કે શું અછૂતને જનોઈ ધારણ કરવાનો અધિકાર આપવો કે કેમ
? તેઓ વેદ-શાસ્ત્રો વાંચવાનાં અધિકારી છે કે નહી? આપણે બળાપો કાઢીએ છીએ કે વિદેશોમાં આપણી સાથે સારૂં વર્તન કરવામાં નથી આવતું. અંગ્રેજી સત્તા આપણને અંગ્રેજોથી નીચ ગણે છે પણ શું આપણને આ ફરિયાદ કરવાનો અધિકાર છે ખરો?

સિંધના એક મુસ્લિમ સજ્જન અને બમ્બઈ કાઉન્સિલના સભ્ય શ્રી નૂર મહમ્મદ આ વિષય પર કહે છે કે,

“If the Hindu society refuses to allow other human beings, fellow creatures so that to attend public school, and if the president of local board representing so many lakhs of people in this house refuses to allow his fellows and brothers the elementary human right of having water to drink, what right have they to ask for more rights from the bureaucracy? Before we accuse people coming from other lands, we should see how we ourselves behave toward our own people.How can we ask for greater political rights when we ourselves denies  elementary rights of human beings.”

તેઓ કહે છે કે જ્યારે તમે કોઈને પીવાનું પાણી આપવાનો પણ ઈનકાર કરી દો છો, સ્કૂલમાં ભણવા પણ નથી દેતા, ત્યારે તમને ખુદને કયો એવો હક છે કે પોતાના માટે વધારે અધિકારોની માગ કરો
? જ્યારે તમે એક માણસને સમાન અધિકાર આપવા પણ તૈયાર નથી ત્યારે તમને વધુ રાજકીય અધિકાર માગવાનાં હકદાર કોણે બનાવી દીધા?

વાત એકદમ સાચી છે. પણ કારણ કે આવું એક મુસ્લિમે કહ્યું છે એટલે હિંદુઓ કહેશે કે જૂઓ, તે પેલા અછૂતોને મુસલમાન બનાવી પોતાનામાં ભેળવી દેવા માગે છે. તમે જ્યારે તેઓને પશુઓથી પણ હલકા સમજશો તો તેઓ ચોક્કસ એ ધર્મમાં સામેલ થઈ જશે જ્યાં તેમને વધારે અધિકાર મળે, માણસો જેવું વર્તન કરવામાં આવે. બાદમાં એવું કહેવાનું કે જુઓ ભાઈ, ઈસાઈ અને મુસ્લિમો હિંદુ સમાજને હાની પહોચાડી રહ્યાં છે, બકવાસ હશે.  

કેટલું સ્પષ્ટ કથન છે! પણ, આ અંગે સાંભળીને આગ લાગી જાય છે. જોકે, આ પ્રકારની ચિંતાઓ હિંદુઓને પણ થવા લાગી છે. સનાતની પંડિતો પણ આ મુદ્દા પર થોડું-ઘણું વિચારવા લાગ્યાં છે. વચ્ચે મોટા યુગાંતરકારી તરીકે ઓળખાતા પણ આ ચિંતામાં સામેલ થયા છે. પટણામાં હિંદુ મહાસભાનું અધિવેશન અછૂતોનાં બહુ મોટા સમર્થક ગણાતા લાલા લજપતરાયની અધ્યક્ષતામાં યોજાયું તો ભારે વિવાદ થઈ ગયો. સારી એવી ચડસાચડસી થઈ ગઈ. મૂંઝવણ એ હતી કે શું અછૂતોને યજ્ઞોપવીત ધારણ કરવાનો હક ખરો કે નહીં? શું તેમને વેદ-શાસ્ત્રો ભણવાનો અધિકાર છે? મોટા મોટા સમાજ સુધારકોનાં ભવાં ચડી ગયાં પણ એ તો લાલાજીએ સૌને સહમત કરી લીધા. સંબંધિત બન્ને વાતો સ્વીકૃત કરાવી હિંદુ ધર્મની લાજ રાખી લીધી.

બાકી,  જરા વિચારો કે કેટલી શરમની વાત થાત. કૂતરું આપણાં ખોળામાં રમી શકે, આપણાં રસોડામાં આપણી સાથે આટાં મારી શકે પણ જો એક માણસ આપણને અડી લે તો આપણો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. આ એ સમય છે કે જેમાં માલવીયજી જેવા બહુ મોટા સમાજ સુધારક, અછૂતોનાં બહુ મોટા સ્નેહી અને કોણ જાણે શું શું કહેવાતા લોકો પણ બાકાત નથી. તેઓ એક મહેતરના હાથે પોતાના ગળે હાર તો પહેરી લે છે. પણ જ્યાં સુધી કપડાં સહિત સ્નાન ના કરી લે ત્યાં સુધી પોતાની જાતને અશુદ્ધ જ સમજે છે. આ તે કેવી રમત ચાલી રહી છે
? સૌને પ્રેમ કરનારા ભગવાનની પૂજા માટે મંદિર બનાવ્યું છે પણ ત્યાં કોઈ અછૂત જઈ ચડે તો તે મંદિર અપવિત્ર થઈ જાય. ભગવાન ક્રોધાયમાન થઈ જાય. જ્યારે ઘરની અંદર જ આવી સ્થિતિ હોય ત્યારે બહાર આપણે સમાનતા માટે લડીએ એ શું સારા લાગીએ?  આપણા આ વર્તનમાં કૃતઘ્નતાની પણ હદ દેખાઈ આવે. જે એકદમ નિમ્નત્તમ કામ કરીને આપણે માટે સુવિધા ઉપલબ્ધ કરાવી આપે છે તેમને જ આપણે આઘા ખસેડીએ છીએ. પશુઓની આપણે પૂજા કરીએ પણ માણસને પાસે ફરકવા દેતા નથી.

આજે એ સવાલ પર બહુ જ હોબળો થઈ રહ્યો છે. એ વિચારો પર આજકાલ બહુ ધ્યાન અપાઈ રહ્યું છે. દેશમાં જે રીતે સ્વતંત્રતાની કામના વધી રહી છે તેમાં સાંપ્રદાયિક ભાવનાઓએ કોઈ લાભ પહોંચાડ્યો હોય કે ના હોય પણ એક બાબતે ચોક્કસ લાભ પહોંચ્યો છે અને એ બાબત એટલે કે વધારે ને વધારે અધિકારો માટે પોત પોતાનાં ધર્મનાં અનુયાયીઓની સંખ્યા વધારવા સૌ ઉતાવળા બની ગયાં છે. આ બાબતને મુસ્લિમોએ થોડી વધારે ગંભીરતાથી લઈ લીધી છે. તેમણે અછૂતોને મુસ્લિમ બનાવી પોતાના બરાબર અધિકારો આપવાનું શરૂ કરી દીધું અને એથી હિંદુઓનો અહમ ઘવાયો. સ્પર્ધા વધી છે . હુલ્લડો પણ થયા છે. આવામાં શીખોએ પણ વિચાર્યું કે કદાચ આપણે પાછળ ના રહી જઈએ
! તેમણે પણ અમૃતપાન શરૂ કરી દીધું. હિંદુ-શીખો વચ્ચે અછૂતોને જનોઈ ઉતારવા કે વાળ કાંપવા પર ઝઘડા થયાં. માહોલ એવો સર્જાયો છે કે ત્રણેય ધર્મો અછૂતોને પોત-પોતાની તરફ ખેંચી રહ્યાં છે. ભારે ઉહાપોહ મચી ગયો છે. બીજી બાજુ, ખ્રિસ્તીઓ મૂંગા મોઢે પોતાનો પ્રભાવ વધારી રહ્યાં છે. ચાલો, આ બધી જ હાય-હાય ને કારણે દેશના દૂર્ભાગ્યનું કલંક તો ઓછું થઈ રહ્યું છે!

હવે આ બધા વચ્ચે જ્યારે અછૂતોએ જોયું કે તેમને લીધે ધર્મો વચ્ચે
ઝઘડાઓ થઈ રહ્યાં છે. ધર્મનાં ઠેકેદારો તેમને પોતાનો 'ચારો' સમજી રહ્યાં છે, તો તેઓ જ શા માટે અલગ સંગઠિત ના થઈ જાય! અછૂતોને આવેલા આ વિચારમાં અંગ્રેજી સરકારનો કોઈ હાથ હોય કે ના હોય પણ એક વાત ચોક્કસ છે કે આ પ્રચારમાં સરકારી મશીનરીની બહુ મોટો હાથ છે. આદી ધર્મ મંડળ જેવા સંગઠનો આ વિચારનાં પ્રચારનું જ પરિણામ છે.

*

કોમરેડની કલમ હજુ ચાલું છે પણ આપણે અટકવું પડશે. બ્લોગ પોસ્ટની જાતે બાંધેલી મર્યાદા કરતાં પોસ્ટ વધુ લંબાતી હોય ભગતનો આર્ટિકલ બે ભાગમાં વહેંચી દેવો પડે તેમ છે. જોકે, અહીંથી સિંહની ત્રાડ વધુ બુલંદ થઈ જાય છે. વધુ જલદ બની જાય છે અને તે સ્થાપિત હિતોને ઉખાડી ફેંકવા હાંકલ કરી દે છે. સાથે જ સમસ્યાનો ઉકેલ પણ બતાવી આપે છે. એ ઉકેલ એટલે....

ભગતસિંહનાં
અછૂતવિચારોઃ આજ તું હોતા તો યહ ના હોતા! (પાર્ટ-
2

to be continued…

Monday 19 August 2013

ઓહ! વતનઃ મેંડા કિબલા વી તું, મેંડા કાબા વી તું.


લગતા નહીં હૈ દિલ મેરા ઉજ઼ડે દયાર મેં,
કિસ કી બની હૈ આલમ-એ-નાપાયેદાર મેં.
                       -બહાદુરશાહ ઝફર

        સાંજનાં સાડા છ વાગવા આવ્યા હશે. દૂર ધૂંધળી ક્ષીતિજને પાર દિવસઆખો દુનિયાની ડ્યુટી કરી થાકીને લોથપોથ થઈ ગયેલો સૂર્ય અરબી સાગરમાં ડૂબકી લગાવી પોતાનો થાક ઉતારવાં ઉતાવળ કરી રહ્યો હતો. મોબાઈલ ફોનની સ્ક્રિન પર ઘરેથી આવેલાં ત્રણ કોલ્સ મિસ્ડ થઈને પડ્યાં હતાં. ને ઘર તરફ ઉપડતાં પગને દરિયાની મોજ બેડીઓ બનીને જકડી રહી હતી. જાણે કહેતી હોય કે ન જાઓ સૈંયા, છૂડાકે બૈંયા, કસમ તુમ્હારી મેં રો પડુંગી..

        પણ, એ રડે એ પહેલા રુદિયાનાં રૂવે રૂવે સમાઈ ગયેલી ખારાશ આંસુનો અરબી સંમદર બની ઘુઘવવાં લાગી હતી. હાથમાંથી સરી રહેલી દરિયાની રેતની જેમ સમય વહી રહ્યો હતો. ને વતન છોડવાનો અલાર્મ વગાડી રહ્યો હતો. વતનને અલવિદા કહેવાનો વખત આવી ચુક્યો હતો,
દિલથી દૂર જવાનો વખત આવી ગયો હતો. પહેલી પ્રેમિકાની વિદાય લેવાનો વખત આવી ગયો હતો...એ ન થી હમારી કિસ્મત કિ વિસાલ-એ-યાર હોતા...

        આજેય યાદ છે એ ઘડી, એ પલ, એ ક્ષણ. જ્યારે હૈદરાબાદ જવાનાં લખાયેલા લેખ હકીકત બની રહ્યાં હતાં. આઠ વાગ્યાની ટ્રેન હતી ને પોરબંદરને અલવિદા કહેવાની ઘડીઓ ગણાઈ રહી હતી. હું ગુડબાય કિસ કરવા દોડી આવ્યો દરિયા કિનારે, દિલનાં કિનારે, ચોપાટીએ, મારા પોરબંદરને...
બાબુલ મોરા નૈહર છુટો જાય...

                                                                                *

        લોકો બે ઘડી જોઈ રહ્યાં. કોઈને કુતુહલ થયું તો કોઈને વળી હસવું આવી ગયું. બે પ્રેમીઓ મળે એટલે જગ ભડકે બળે. જગ જાય જહન્નમમાં. અહીંયા પરવા કોને
! હું તો બસ એની માટીની મહેકથી દિલનાં ઘાવ ભરી રહ્યો હતો. ટ્રેન પરથી ઉતર્યો તો એની ધરતીએ આગોશમાં લઈ લીધો. એવી બથ ભરી, એવી બથ ભરી કે ભિંસી નાખ્યો. વિરહની વેદના જેટલી સહી હોય એટલું જ મિલન મધુરું બને. આલિંગન આવેગમય બને. જાણે એક-બીજાને એકબીજામાં ઓગાળી નાખવાં હોય એમ… કસ બાહો મેં આ તોડ દું. ને એ આવેગની રેતીલી ખારાશ મારા હોંઠો પર ચોટી ગઈ... હૈદરાબાદ ગયાં બાદનું એ પુનઃમિલન.. હજુ મહિનાઓ જ દૂર રહ્યો હતો પણ જાણે એક જુગ વિતાવી દીધો હોય એવું મિલન.

ઓહ... પોરબંદર
!!!

        રગોમાં લોહી બનીને વહેતી એની ખારાશ...પરસેવે પરસેવે ભળી ગયેલી એની સુકાયેલી માછલીની સુવાસ... એની રેતીનાં કણે કણે ધબકતાં ધબકારા ને લહેરે લહેર આંખોમાં ઉઠતાં સંતારા. એની ખારીપટ્ટ માટીની મિઠાશ ને એની પથ્થરીલી ભૂમિની ભિનાશ... ખાડીમાં ડુબકી લગાવી ઉગતી હજારો વર્ષો જૂની એની સવાર ને દરિયામાં ડૂબી જતી સદીઓ જૂની એની સાંજ. યુગો યુગોથી ઉભેલો બરડો ને એથીય જૂનો અસ્માવતીનો ભરડો. શું નથી પોરબંદર?... કુન ફાયા કુન....
                                                                             *                                                                                      
સટ્ટ્ટ્ટાક...

        ગાલ પર પાંચેય આંગળીઓએ ભરતકામ કરી દીધું. એ કારીગરીનું દર્દ આંખમાંથી આસું બનીને દડદડ વહેવા લાગ્યું. એ ઈનામ હતું પહેલાં પ્રેમનું. એનાથી દૂર રહેવાના ફરમાનનનો અનાદકર કરવાનું. એનામાં ઓળઘોળ થઈ જવાનું. એનામાં,,, ખાડીમાં. વારંવાર ના પાડવા છતાં ખાડી ખુંદવા જવાની પપ્પાએ આપેલી એ સજા એટલે પોરબંદરમાં રેહવાની મજા. એ આગાઝ હતો દર્દ સાથે દિલ્લગી કરવાનો.

 

        એની ખાડીમાં કાદવ ને ખારા પાણીએ બાળપણ ખીલ્યું છે. એ મેલુંઘેલું ચડી પહેરેલું ને ખાડી ખુંદતું બાળપણ. ગોઠણ સુધી એના ડહોળા પાણીની કાળાશમાં ખિલતું કમળ જેવું ગોરું ગોરું બાળપણ. ડિઝનીલેન્ડની તો અત્યારે ખબર પડી ત્યારે તો બસ માત્ર ખાડી જ ખાડી. ને એનોય પ્રેમ કેવો
? ગોઠણ સુધી તો ક્યારેક સાથળ સુધી એણે કાળા પાણીએ પપ્પીઓ ભરી છે ને એ પપ્પીઓએ પાછી ચાડીઓ પણ એવી ખાધી છે, કે ઘરે પગ મુકતાની સાથે જ ગાલ પર તેના પ્રેમના સટ્ટાક કરતાં શેરડા ફૂંટ્યા છે. એનાં પ્રેમને માછલી પકડવાની દોરીએ બાંધ્યો છે, કરચલાં સાથે પકડીને ડબ્બામાં પૂર્યો છે. સુકાયેલા કાદવના ચોસલે ચોસલે ખાડીએ મને ચાહ્યો છે ને એનાં પાણી પર પથ્થરને નચાવતાં નચાવતાં મેં એને પ્રેમ કર્યો છે. શિયાળામાં ફાટેલા હાથ-પગમાં એના ખારા ખારા પાણીએ મીઠી મીઠી બળતરાઓ કરાવી છે. ઉનાળાની ગરમીમાં હેમ જેવી ટાઢક આપી છે. ને ચોમાસે ઘરમાંથી બહાર નિકળવાની મનાઈ ફરમાવાઈ જાય તો એના પાણી મળવા છેક ઘર સુધી દોડી આવ્યાં છે. ને બોલ્યા છે. ...મેરી દોસ્તી તેરે દમ સે હૈં...

પકડેલું પતંગિયું ઉડી ગયા બાદ હાથમાં તેના મેઘધનુષી રંગોની યાદો છોડી જાય એમ ખાડીમાં વિતાવેલાં કાબરચિતરા બાળપણે દિલમાં ખત વાળું
એન્ટીલિયા બાંધી લીધું છે.
                                                                                                                                                                          *

        રાંઝણામાં કુંદન બોલે છે.રામાયણ મેં સિર્ફ સુંદરકાંડ નહીં હોતા બસ એવી જ રીતે સાલા હમારા જવાન હોવા અભી બાકી થા મારી સાથે પોરબંદરને મૂછનો દોરો ફૂંટતા જોયો છે. મને સોળે સાન તો ના આવી પણ વિસે આવેલો વાન એનાં નવા નવા લાગતાં રંગરૂપમાં અનુભવ્યો છે. એની ગલીઓમાં ઉગેલી જવાની માધવાણી કોલેજમાં સોળેય કળાએ ખીલી છે. એ ખીલેલી જવાનીએ મનમુકી એનાં રસ્તાઓ પર ફર્યો છું. વર્યો છું.

        પાછળ પાછળ ચાલીને અને સાયકલના પેંડલ તોડી તોડી પોરબંદરની ગલીઓ ખુંદી છે. એવી જ કોઈ ગલીને મક્કા માંનીને તેની ફરતે ચક્કર લગાવ્યાં છે. જે બે આંખોને શોધવા બંગડી બજાર ફરી છે, એ ચોપાટીની સોડિયમ લાઈટનાં આછાપ્રકાશમાં ઝબકારા મારી ગઈ છે. એ જ આંખોમાં આશ્રય પણ લીધો છે ને અવસાદ પણ. એ આંખોને જન્માષ્ઠમીના મેળામાં મારી સાથે એણેય શોધી છે. નવરાત્રીમાં ગરબે રમતી એ આંખોને જોવા એ જ મારો હાથ ઝાલી લઈ ગયું છે. દિવાળીમાં એની ગલીમાં જઈને ફટાકડા ફોડવાં એ નફ્ફટ બન્યું છે તો મકરસંક્રાન્તિએ બાજુની અગાસી પર પતંગ ઉડાવવા એણે જ મને ચગાવ્યો છે.  ...તેરે સંગે ખેલી હોલી, તેરે સંગે દિવાલી. તેરે અંગનો કી છાયા, તેરે સંગ સાવન આયા... એની ગલીમાં આંખો ભરાઈ આવે એટલું હસ્યો છું ને આંખો છલકાઈ આવે એટલું રડ્યો પણ છું. એ જ ગલીઓમાં લૂંટાવ્યું પણ છે ને લૂંટાયો પણ છું, એ જ પોરબંદરમાં...અને પછી એક દિવસ એને છોડી દીધું.. ‘…તેરા શહેર જો પીછે છૂટ રહા હૈ, કુછ અંદર અંદર ટૂટ રહાં હૈ...

 

        આટલું ચાહવા છતાં પોરબંદર છોડવું પડ્યું, દૂર જવું પડ્યું. વિહગ બની વિશ્વ જોવાં ને મન મુકી મ્હાલવાં, દુનિયા જોવાં ને જાણવાં, ને એ બધાથી ભયાનક વાસ્તવિક્તા એ કે પેટ ભરવાં. પેટ ભરવા એને છોડવું પડ્યું!!!  પણ.. હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છુટા કરતે. એને છોડ્યા બાદ એની મહોબ્બત ઔર મુક્કમલ થઈ ગઈ. એની યાદ શરીરની અંદર ઓગળી ગઈ ને હૃદય પર પહોંચવાં દોડતાં લોહી કરતાં વધુ ઝડપે પહોંચી ધબકવાં લાગી. એની ખારાશ હાડકામાં ઉતરી ગઈ છે. એ છુટવી મુશ્કેલ છે. અશકય છે. નામુમકીન હૈ... તું હૈ સમન મેરી પહેલી મહોબ્બત...’                                                                                                                                                      *

       પોરબંદર એટલે મારા બાળપણનું ભોળપણ ને મારી યુવાનીની રવાની.મારા લોહીનું ખારાપણું, મારા મનનું મિઠાપણું. દાગદાર થયેલું દિલ ને ગાર્ડન ગાર્ડન થઈ ગયેલું દિલ. એ એટલે જ મારું હોવાપણું. પણ તોય હજુ મન ધરાતું નથું એની ચાહતથી, એની ઈબાદતથી. હજું કંઈક ખુટ્યા કરે છે. જાણે ...પુરે સે ઝરાસાં કમ હૈ...હજું એ મારી રાહ જુએ છે ને હું એની. અરબી સંમદરનાં ઘુઘવાટમાં છુપાયેલો એનો રઘવાટ મને સંભળાય છે. ખાડીની ઓટમાં દેખાતી એનાં ભીતરની ભરતી મને અનુભવાય છે. વહેલી સવારે ઉઠીને આંખોને ખુણે રહી ગયેલી ખારાશ બન્ને એકસાથે ખેરી નાખીએ છીએ,  તો ક્યારેક અળધી રાતે ઉઠી એક સાથે ડૂસકાં ભરી લઈએ છીએ. ક્યારેક ધોમધખતા તાપમાં એક બીજાની યાદોનાં છાંયે વિસામો લઈ લઈએ છીએ તો ક્યારેક ધોધમાર વરસાદમાં એક સાથે રડી લઈએ છીએ.... ઓહ!!! વતન!

એ સાદ દે છે, એ યાદ કરે છે. એ બોલાવે છે. ને કહે છે 'ઈતની જલતી ધૂપ મેં કબ તક ઘૂમોંગે
? ? ?'

        કદાચ એટલે જ મોક્ષની હવે કામના રહી નથી. ઈચ્છા છે બસ ભૂત બનીને ભટકવાની. પોરબંદરમાં ભટકવાની. એની ખાડીને ફરીથી ખુંદવાની. એના દરિયામાં ફરીથી ડૂબકી લગાવવાની. એની સાથે ચોમાસે નાહવાની, ઉનાળે
ઓગળવાની. એની ગલીઓમાં ફરીથી દોડી જવાની. ને ફરી પાછી એની કોઈ ગલીને મક્કા માનીને તવાફ કરવાની....!!!

ઓહ! પોરબંદર, તને ચાહવામાં એક જિંદગી કેમ અધુરી લાગે છે???

(આજે પોરબંદરનો જન્મદિન છે. એના જન્મદિન નિમિત્તે એને આપેલી મારી નાનકડી ભેંટ...
મેળાની તસવીરઃ ફોટોગ્રાફર મેહુલ બારોટનાં કલેક્શનમાંથી સાભાર)