Saturday 21 January 2017

દરગાહ-એ-હઝરત નિઝામુ્દ્દીનઃ કુન ફાયા કુન.. કુન ફાયા કુન

'રોકસ્ટાર'ની સૌથી મોટી ખાસિયત ખુદ 'રોકસ્ટાર' જ છે. એ એક ફિલ્મ માત્ર નથી પણ એક એક્સપેરિયન્સ છે. એ અનુભવ છે જે ભૂલાતો જ નથી. હિર વગરના જોર્ડનની જઝ્બાતી જદ્દોજહદ, એની અધુરપ, એની એકલતા, એની અગન અને એની લગન 'રોકસ્ટાર'ને એક એવી રુહાનિયત બક્ષે છે કે તમે જાણ્યે-અજાણ્યે એની રુમાનિયતમાં ખેંચાયા કરો. ભાગ્યે જ એવો દિવસ ગયો હશે જ્યારે મેં 'રોકસ્ટાર'ના સોંગ્સ નહીં સાંભળ્યા હોય! એને અનુભવ્યા નહીં હોય! અને કદાચ એટલે જ, રુહમાં ઉતરી ગયેલો 'રોકસ્ટાર' સાથેનો રાબ્તા, મારા નાસ્તિક પગને હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ ખેંચી ગયો... 

મન કે મેરે યે ભરમ
કચ્ચે મેરે યે કરમ
લેકે ચલે હૈં કહાં મેં તો જાનુ હી ના..
કદમ બઢા લે... હદો કો મિટા લે...
આજા ખાલી પન મેં પી કા ઘર તેરા...

દરગાહના રસ્તે વેચાઇ રહેલા ચાંદીના બર્તન 


જે મહેક તમારા પગને રોકી રાખે એ... 

દરગાહના રસ્તા વચ્ચે પડતી બંગલેવાલી મસ્જિદ 

દરગાહના રસ્તે લાગેલું બઝાર

જવાની ખર્ચીને બૂઢાપો વેચી રહેલો બંદો 

રેસ્ટરૉ પર સજાવેલી શિરમાલ

ગંગા-જમુની અખબાર

ગંગા-જમુની કિતાબે


દરગાહના રસ્તે પડતી એક દૂકાન

ઇસતક્બ઼ાલ કરતા ગુલાબ વ ઇત્ર 

ખુસરો દરિયા પ્રેમ કા, સો ઉલટી વા કી ધાર... જો ઉબરા સો ડૂબ ગયા, જો ડૂબા હુવા પાર

રંગરેઝા... રંગરેઝા

 'જબ જાન મેરી નિકલે... તુ મેરે સામને આ જાના...' 'ખુદાને મહેબુબ માનતી સુફી તેહઝીબ 

'કાગા સબ તન ખાઇયો મેરા, ચુન-ચુન ખાઇયો માંસ ય
યે દો નૈના મત ખાઇયો, મોહે પિયા મલિન કી આસ'
બાબા ફરીદને લલકારતા કવ્વાલ.. 

કાનમાં ગુંજી રહેલા શબ્દો 'મેં હોશહવાઝ ખો બેઠા તુમને જો કહાં હસ કે યૈ હૈં મેરા દિવાના... "


Sunday 15 January 2017

હિંદુસ્તાન, સાચી જમ્હુરિયત અને પાકિસ્તાની રેફ્યુજી: મુહાજિર હૈં મગર એક દુનિયા છોડ આયે હૈં


ચંદ દરવાજ઼ે પર લટકતે હુએ બોશિદા સે કુછ ટાટ કે પર્દે 
એક બકરી કે મમિયાને કી આવાઝ
ઔર ધુંધલાઇ હુઇ શામ કે બે-નૂર અંધેરે
ઐસે દિવારો સે મુહ જોડ કે ચલતે હૈં યહાં....

'ગલી કાસિમ જાન'નું ગુલઝારે કરેલું 'ગ઼ાલિબ કા પતા' વાળું ઇન્ટ્રોડક્શન યાદ આવી જાય જ્યારે 'મજનુ કા ટિલ્લા' પર આવેલી 'પાકિસ્તાની રેફ્યુજી કી બસ્તી'માં પગ મુકીએ. 'દિલ્લી'ની ચકાચૌંધ વચ્ચે આ 'બસ્તી' યુપી બિહારના કોઇ કસબાની યાદ અપાવી દે. જેમ તેમ કરીને જોડેલી ઝૂંપડીઓ, સાંધા-મેળ કરીને ઉભી કરેલી દિવાલો અને એ દિવાલો વચ્ચે તૂંટેલી ફાંટેલી 'વતનની માયા' વચ્ચે આવતીકાલના સપનાઓ સજાવતા 'પાકિસ્તાનીઓ'. પાકિસ્તાનથી આવેલા 120 જટેલા હિંદુ પરિવાર 'મજનુ કા ટિલ્લા' ખાતે રહે છે. પાકિસ્તાનમાં બહુમતી મુસ્લિમોના અત્યાચારોથી તંગ આવીને આ લોકો અહીં આવી ગયા છે અને હવે ક્યારેય 'વતન' પરત જવા નથી માગતા.
'મજનુ કા ટિલ્લા' ખાતે રહેતા પાકિસ્તાની રેફ્યુજી

સિંધ પાકિસ્તાનના હૈદરબાદથી ભારત આવી ગયેલા મહાદેવ અડવાણી કહે છે કે પાકિસ્તાનમાં રહ્યાં હોત તો મુસલમાન થઇ જવું પડત. જે તેમને મંજૂર નહોતું અને એટલે જ 2013માં તેઓ કુંભ મેળાનું બહાનું કરીને પોતાના બે ભાઇઓ સાથે ભારત આવી ગયા. મહાદેવનું 'અડધું કુટુંબ' હજુ પણ પાકિસ્તાનમાં જ છે અને ભારતના વિઝા મળે તેની રાહ જોઇ રહ્યું છે.
પાકિસ્તાની રેફ્યુજી મહાદેવ અડવાણી 

મહાદેવની માફક જ સોનાદાસ પણ 2011માં તિર્થયાત્રા કરવા માટેના વિઝા મેળવી પોતાના પરિવાર સાથે ભારત આવી ગયા. પાકિસ્તાનમાં તેમની હાલત 'કસાઇઓ સાથે રહેતા બકરા' જેવી હતી એવું ખુદ સોનાદાસ કહે છે. વાતચીત દરમિયાન સોનાદાસના ચહેરા પર સિકન અને ઝુબાં પર એક કિસ્સો આવી જાય છે. એક વખત એક મુસલમાન સાથે સોનાદાસનો ઝઘડો થઇ ગયો. વાત ગાળાગાળી પર આવી ગઇ અને મામલો સ્થાનિક કાઝી પાસે પહોંચ્યો. કાઝીએ બનાવની વિગત જાણવાને બદલે સીધું જ પૂછી લીધું કે 'એક મુસલમાનને ગાળો કાઢવાની તારી હિંમત કઇ રીતે થઇ?'
સોનાદાસે પોતાના ઘરની દિવાલ પર નરેન્દ્ર મોદીની તસવીર લગાવી છે  

મહાદેવની યાદ પણ સોનાદાસથી કંઇ અલગ નથી. મહાદેવ જણાવે છે કે 'અમારી કેટલીય કુંવારી છોકરીઓનું અપહરણ કરીને તેમને બળજબરી મુસલમાન બનાવી દેવાઇ. આ અંગે જ્યારે કેસ ચાલ્યો ત્યારે આરોપીઓએ બુરખો પહેરાવીને બીજી છોકરીઓને કોર્ટમાં રજુ કરી દીધી. ઓળખ માટે જ્યારે બુરખો હટાવવાનું કહેવાયું તો આરોપીઓએ છોકરીઓએ ઇસ્લામ અંગિકારી કરી લીધો હોવાનું જણાવી ચહેરો બતાવવાનો ઇન્કાર કરી દીધો.' મહાદેવના મતે પાકિસ્તાનમાં પબ્લિક, પાવર ને પોલિટિશ્યન્સ બધું જ બહુમતીનું છે. 'ઇસ્લામિક જમ્હુરિયત'માં 'કાફિરો'નું કોણ સાંભળે?
સુખનંદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ભારે આશાઓ છે.

185 લોકો સાથે 2013માં ભારત આવીને અહીં જ રહી ગયેલા સુખનંદ જણાવે છે કે પાકિસ્તાનમાં હિંદુઓને '32 દાંત વચ્ચે રહેતી જીભ'ની માફક રહેવું પડે. કોઇનો પણ વાંક હોય, ભોગવવું  હિંદુને જ પડે. ભારત  પોતિકું લાગતું હોવાનું કહીને સુખનંદ જણાવે છે કે 1947માં અમે અલગ પડી ગયા હતા પણ હવે અમારી 'ઘર વાપસી' થઇ ગઇ છે. સુખનંદને અહીં સૌથી મોટું સુખ 'ઇજ્જત કી રોટી' મળી રહેતી હોવાનું છે. સુખનંદ જણાવે છે કે અહીં ગમે ત્યાં છોકરીઓ મુક્ત રીતે ફરી શકે છે. જ્યારે પાકિસ્તાનમાં તો ક્યારે અપહરણ કરી લેવાશે એનો ડર જ સતાવ્યા કરતો.

પોતાનો ધર્મ બચાવવા માટે પાકિસ્તાનમાં પોતાની 32 વિઘા જમીન છોડીને અહીં આવી ગયેલા સોનાદાસ હવે મોબાઇલના કવર વેચે છે.  પોતાની સ્થિતિ વર્ણવતા સોનાદાસની આંખમાં આંસુ આવી જાય છે અને મને મુનવ્વર રાણા એ રીતે યાદ આવી જાય છે કે...

મુહાજિર હૈં મગર એક દુનિયા છોડ આયે હૈં
તુમ્હારે પાસ જિતના હૈ હમ ઉતના છોડ઼ આયે હૈં

સોનાદાસનું 'ઘર'

'મજનુ કા ટિલ્લા' ખાતે રહેતા આ 'પાકિસ્તાની હિંદુ'ઓ સરકાર પાસે જેમ બને તેમ જલદી નાગરિક્તા મળી જાય એવી માગ કરી રહ્યાં છે કે જેથી તેઓ નાનો મોટો ધંધો કે ખેતિવાડી કરી શકે. આ પાકિસ્તાની પરિવારોને હાલમાં દિલ્હીના વિઝા મળ્યા છે, જેને દર વર્ષે રિન્યૂ કરાવવા પડે છે.  નાગરિકતા મેળવી, દિલ્હી બહાર જઇ તેઓ ખેતિવાડી કરવા માગે છે.
બસ્તીમાં ધુંધલાઇ હુઇ શામ કે બે-નૂર અંધેરે

આંખોમાં ભારતની આવતી કાલના સપના સાથે 'પાકિસ્તાની બાળકો'
'મજનુ કા ટિલ્લા' ખાતે પાકિસ્તાની રેફ્યુજીની બસ્તી

સુખનંદ છેલ્લે એક વાત કરે છે કે હિંદુ-મુસલમાન તો ભારતમાં પણ રહે છે અને હળી-મળીને રહે છે. એકબીજાને ત્યાં લગ્ન પ્રસંગે આવે-જાય છે. એક બીજા સાથે ખાય-પી છે. પાકિસ્તાનમાં તો આવો વિચાર પણ ના આવે. કારણ કે ત્યાં તો 'ઇસ્લામિક જમ્હુરિયત' (ઇસ્લામિક લોકતંત્ર) છે જ્યારે ભારતમાં તો 'સાચી જમ્હુરિયત'. 'સાચી જમ્હુરિયત' સાંભળતા જ મને ભારતને 'હિંદુરાષ્ટ્ર' બનાવવા માગતા 'રાષ્ટ્રવાદીઓ' યાદ આવી જાય છે અને એક કંપારી છૂટી જાય છે.