પ્રકૃતિ અને પરિસ્થિતિ એ કોઇ પણ
પ્રદેશના ખોરાક પર ખાસ અસર કરવાની જ! 'કાઠિયાવાડી થાળી'
અને એની 'મોંઘેરી મહેમાનગતિ' પાછળ પણ આ જ કારણો જવાબદાર હોવા જોઇએ!
અહીં પહેલાથી જ પાણીની અછત અને એ અછતે અહીંના લોકજીવનમાં ‘અભાવ’ સર્જ્યો. અભાવોમા ઉછરેલી પ્રજામાં
ઉદારી આપમેળે આવી જતી હોય છે. ભાર દઇને ભોજન કરાવવાની ‘કાઠિયાવાડી સંસ્કૃતિ’ પાછળ આ અભાવ એવી રીતે કામ કરી ગયો હોવો
જોઇએ કે એક તો ઘરે આવેલો મહેમાન અછતનો માર્યો ક્યાંક ભૂખ્યો ના હોય કે ક્યાંક ઘરની
અછત એ કળી ના જાય એવી ભાવના વિકસી. આ ભાવનાએ ‘ગળાના સમ’ દઇ-દઇને એક રોટલો વધુ ખવડાવવાની
ખાનદાની જન્માવી. સાવ ઓછી વસ્તુઓ અને સસ્તા ધાનથી તૈયાર થતી ‘કાઠિયાવાડી થાળી’ પાછળ પણ આ જ અછત કામ કરી ગઇ હોવી જોઇએ.
ને આવી જ ‘અછત’ની યાદ ત્યારે આવે કે જયારે દિલ્હીમાં તમે ઘી-માખણ અને મરી-મસાલાથી
ભરપુર પંજાબી અને મુઘલાઇ ડેલિકસીઝ્ વચ્ચે સાવ સસ્તી અને સાવ સાદી પણ એટલી
સ્વાદિષ્ટ ‘બિહારી લિટ્ટી-ચોખા’ને ચાખો. ઓફિસની બહાર માત્ર 20 રુપિયામાં મળતી લિટ્ટી-ચોખાની એક
પ્લેટ પેટ ભરવા ઇનફ છે. બાટી જેવી દેખાતી અને અંદરથી સત્તુ ભરેલી લિટ્ટી અને
રિંગણના ઓળો કે ‘મેસ પોટેટો’ની યાદ અપાવતા ચોખા સાથે ડુંગળી અને લીલા મરચાની ચટણી... બસ! આટલું
જ! બપોરે આ લિટ્ટી-ચોખ્ખા ખાઇ બાપડા બિહારીઓ આખો દિવસ સાઇકલ રીક્ષાને ખેંચ્યા
કરે...ભોજપુરીયા ગીતો લલકાર્યા કરે...
'એ ઇનટરનેસનલ લિટ્ટી-ચોખા જે ખઇલસ ના
પઇલસ ધોખા
યુપી ચાહે બિહાર મે...
ગાર દે જંડા આઇ ગઇલ હો જહાં ગઇલ સંસાર
મે...'