(જંતર-મતર ખાતે પોતાના દીકરાને ન્યાય અપાવવા માટે ટહેલ નાખતું બચ્ચીદેવીનું બેનર) |
એનું નામ બચીદેવી... ગામ મહારાષ્ટ્રનાં ચન્દ્રપુરનું ધુગ્ધુસ...બચીદેવીના જુવાનજોધ દીકરા રાહુલને ગામના જ માથાભારે શૈલેષ ગીરી, રાજેશ ચૌધરી, રવિશસિંહ, નવલેશ નિષાદ, રાકેશ ઢિઢિકાલા અને નવીને મળીને મારી નાખ્યો. બચીદેવીએ પોતાના પુત્રના હત્યારાઓ વિરુદ્ધ મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન ને છેક વડાપ્રધાન સુધી અપીલ કરી પણ કંઇ ના વળ્યું. રાહુલના હત્યારા ગામમાં રાહુલની બાઇક લઇને જ ફરી રહ્યાં છે, ખુલ્લે આમ ફરી રહ્યાં છે પણ પોલીસને ના તો હત્યારા દેખાઇ રહ્યાં છે કે ના તો બાઇક દેખાઇ રહી છે. આખરે થાકી-હારીને એક મા જંતર-મંતર ખાતે ભૂખ હડતાળે બેઠી છે, દીકરાને ન્યાય અપાવવા, પુત્રના હત્યારાઓને સજા અપાવવા... પણ ઠંડીમાં ઠરી ગયેઇ સરકારની સંવેદનશીલતા સુધી બચી દેવીની પીડ પહોંચી શકી નથી...
દેશના અંતરીયાળ વિસ્તારમાં તો આવું બને એમા સરકાર શું કરે એવો કોઇ ફાંકો રાખે તો આ આ વાંચી લે...
(ઇન્ડિયા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ ફાતિમા નફિસ સાથે આવી રીતે વર્તી) |
***
ઉપરના બે કિસ્સાઓમાં સ્થળ, સંજોગો અને સમયકાળ અલગ અલગ છે. પણ સમસ્યા એકસમાન છે. એક કિસ્સામાં એક દીકરો મારી નખાયો છે, બીજા કિસ્સામાં એક દીકરો ગૂમ કરી દેવાયો છે. પણ બન્ને કિસ્સાઓમાં મા લડત આપી રહી છે. બચીદેવી પોતાના દીકરાના હત્યારાઓને સજા અપાવવા ભૂખ હડતાળે બેઠી છે તો ફાતિમા પોતાના ગૂમ થયેલા દીકરાના ભાળમેળવા ભૂખી-તરસી દિલ્હીની ખાક છાની રહી છે.
ગત 15 ઓક્ટોબરથી દેશના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ગુમ થયેલો Mscના વિદ્યાર્થી નજીબની હજુ સુધી કોઇ ભાળ મળી નથી. યુનિવર્સિટી તંત્ર અને દિલ્હી પોલીસ પર આ મામલે પક્ષપાતી વલણ અપનાવી હાથ પર હાથ ધરી બેસી રહેવાનો આરોપ લગાવાઇ રહ્યો છે. ત્યારે પોતાના પુત્રની ભાળ મેળવવા દિલ્હી પોલીસથી માંડી દેશના રાષ્ટ્રપતિ અને દિલ્હી-યુપીના મુખ્યપ્રધાન સુધીના દરવાજા ખખડાવી રહેલી નજીબની મા સાથે જ્યારે વાત કરી તો એક માની કકળતી આતરડી એવા કેટલાય પ્રશ્નો પૂછી બેઠી જેનો જવાબ આપવા કોઇ તૈયાર નથી.
યુનિવર્સિટી તંત્રને આ મામલે નિષ્ક્રિયા દાખવવાનો આરોપ લગાવતી નજીબની મા ફાતિમા નફિસે જણાવે છે કે જો વીસી દ્વારા યોગ્ય પગલા લેવાયો હોત તો તેમનો દીકરો આજે ગૂમ ના થયો હોત. નજીબના પરિવારજનોએ વીસીને આ મામલે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું જોકે, પોતાની કોઇ જ જબાદારી ના હોવાનું જણાવી વીસીએ આ મામલે હાથ ખંખેરી નાખ્યા હતા. આ અંગે વાત કરતા ફાતિમાએ ઉમેર્યું કે 'વીસી આ મામલે અમારી મદદ કરે એવી હવે અમને કોઇ જ અપેક્ષા નથી રહી. મદદ તો દૂરની વાત, અમારી સાથેનું એમનું વર્તન પણ એકદમ તોછડાઇપૂર્ણ હતું'
( જેમણે મારા દીકરાને માર્યો છે એ પણ કોઇ માના દીકરા હશે. હું નથી ઇચ્છતી કે એમની જિંદગી ખરાબ થાય: ફાતિમા નફિસ) |
પોલીસે આ કેસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોપી દીધો છે. બનાવને એક મહિના કરતા પણ વધુ સમય થઇ ગયો હોવા છતાં હજુ સુધી આ મામલે કોઇ જ કડી નથી મળી. પરિવારજનોની દિવસે દિવસે આશા ધૂંધળી થઇ રહી છે. પણ પોતાનો દીકરો પરત આવશે જ એ ઉમ્મદી ફાતિમાએ કમ થવા નથી દીધી. એ કહે છે કે 'જ્યારે પણ કોઇ અજાણ્યા નંબરમાંથી ફોન આવે તો મને થાય છે કે મારા નજીબની કોઇ ભાળ આપશે. પણ એ એ આશ એ ફોન સાથે જ ખતમ થઇ જાય છે. મારા પરિવારજનોના કોઇનો ફોન હું નથી ઉપાડતી. એ બધા એક વાત પૂછે કે છે કે શું થયું કંઇ ખબર પડી. મારે શું જવાબ આપવો?
14 ઓક્ટોબરની રાતે નજીબ અને એબીવીપીના કેટલાક વિદ્યાર્થીઓ સાથે નજીબનો ઝગડો થયો હતો. જે બાદ નજીબ પર એબીવીપીના કાર્યકરો તૂટી પડ્યા હતા. એ રાતે નજીબે એની મા સાથે વાત કરી હતી. એ ઘટનાને યાદ કરતા ફાતિમા જણાવે છે કે ' 11 વાગ્યા સુધી હું એના કોન્ટેક્ટમાં હતી. એ બાદ જ્યારે સાડા બારે હું એના રુમે પહોંચી તો એ નહોતો. એનો બધો જ સામાન વેર વિખેર પડ્યો હતો. એનું લેપટોપ, એના કપડાં બધુ જ... એક ઓશિંકુ ફાડી નાખવામા આવ્યું હતું. સીડી પર એનું એક ચપ્પલ પડ્યું હતું.' નજીબની માના જણાવ્યા અનુસાર એની સાથે 11 વાગ્યે રાતે આટલી મોટી ઘટના બની છતા યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઇ પગલા ના ભરાયા. નો તો તંત્ર દ્વારા તેને હોસ્પિટલ લઇ જવાયો કે ના તેને કોઇ જાતની સુરક્ષા અપાઇ. નજીબનો રુમપાર્ટનર તેને હોસ્પિટલ લઇ ગયો હતો.
પોતાના દીકરાને કોઇએ કેદમાં રાખ્યો હોવાનું માનતી ફાતિમા જણાવે છે કે' એને ચોક્કસથી કોઇએ બંધક બનાવી રાખ્યો છે. જેની પાસે હોય એના માટે હું દૂઆ કરીશ કે અલ્લાહ તેને તૌફિક અદા ફરમાવે ને મારા દીકરાને છોડી મુકે. મારે એમના વિરુદ્ધ પણ કોઇ એક્શન નથી લેવું. મને માત્ર મારો દીકરો આપી દો. હું એમ પણ નહીં પૂછું કે એ ક્યાં હતો. હું બધી જ ફરિયાદો પાછી ખેંચી લઇશ. જેમણે મારા દીકરાને માર્યો છે એ પણ કોઇ માના દીકરા હશે. હું નથી ઇચ્છતી કે એમની જિંદગી ખરાબ થાય.'
હોસ્ટેલમાં આવ્યે નજીબને હજુ માત્ર દસ-15 દિવસ જ થયા હતા કે આ બનાવ બન્યો. 7મી ઓક્ટોબરે એ પોતાના ઘર બદાયુ આવ્યો હતો. 13મીએ હોસ્ટેલ પરત ફર્યો ને 14એ સંબંધીત ઘટના બની. નજીબ એકદમ શાંત પ્રકૃતિનો ને સીધો સાધો યુવક હોવાનું જણાવી એની મા ઉમેરે છે કે 'દિલ્હીથી લઇને બદાયુ સુધી ચાલ્યા જાવ. મારા દીકરાની કોઇ સાથે દુશ્મની નહોતી. એટલો સીધો દીકરો હતો કે એને કોઇ ગાળો આપે તો પણ એ એને વળતો જવાબ નહોતો આપતો. બસ! એટલું જ કહેતો કે 'અલ્લાહ ઇન્સાફ કરશે એનો'. બધુ જ અલ્લાહ પર છોડી દેનારો નજીબ કોઇ પર હુમલો ના કરી શકે એવું માનતી ફાતિમા કહે છે કે 'મારો નજીબ કોઇ પર પણ હાથ ઉઠાવી શકે એમ નથી! ને જો માની લો કે તેનો ઝઘડો પણ થયો તો પણ આવી રીતે કોઇ મારે? પહેલા ત્રણ લોકોએ મળીને માર્યો એને. કડાથી માર્યો એને. ને બાદમાં બીજા 9 છોકરાઓએ મળીને ફરીથી એને માર્યો!' નજીબ પર હુમલો કરનારી ભીડ તેને વોર્ડનના રુમ સુધી ઢસડી ગઇ હતી. જ્યાં તેના પર 8 દિવસ અંદર જ હોસ્ટેલ છોડી દેવા સાથેનું માફીનામું પણ લખાવાયું હતું. નજીબની મા અંગે સવાલ કરે છે કે ' જે લોકોએ એને માર્યો એના વિરુદ્ધ કોઇ જ ફરિયાદ ના કરાઇ. માર પણ મારા દીકરાને પડ્યો. સજા પણ એને જ મળી ને માફી પણ એની પાસે જ લખાવાઇ. કેમ?'
(JNUમાં ઠેર ઠેર નજીબની ભાળ આપનારને ઇનામ આપવાની જાહેરાત કરતા પોસ્ટર લગાવાયા છે) |
એબીવીપીએ આ મામલે નજીબ વિરુદ્ધ ધાર્મિક ભડકાઉ અને પાકિસ્તાન સંબંધીત સુત્રોચ્ચાર કર્યા હતા. નજીબને પાકિસ્તાન ચાલ્યા જવાનું પણ કહેવાયું હોવાનું ફાતિમા જણાવે છે. જે મામલે યુનિવર્સિટી પ્રોક્ટર દ્વારા વિક્રાંતસિંહ નામના આરોપીને શો-કોઝ નોટીસ પણ પાઠવવામાં આવી હતી.
( JNUની અદર અને બહાર ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન આ મામલે લડત ચલાવી રહ્યું છે.) |
અંકિત, વિક્રાંત, સુનિલપ્રતાપસિંહ, વિજેન્દર ઠાકુર, સંતોષ, અભિજીત, અર્નબ ચક્રવર્તી, અને એ સીવાયના બે લોકોએ નજીબ પર હુમલો કર્યો હોવા છતાં તેમના વિરુદ્ધ કોઇ જ પગલા નથી લેવાયા એવું મોહિત જણાવે છે. મોહિતના મતે આરોપીઓ આજે પણ કેમ્પસમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે ને તંત્ર તેમજ ખુદ દિલ્હી પોલીસ તેને બચાવી રહી છે. નજીબને બચાવવા અંગે એક પણ શબ્દ ના ઉચારનારા વાઇસ ચાન્સેલર નજીબ પર હુમલો કરનારાઓ સાથે બે વખત બેઠક કરી ચૂક્યા છે. મોહિત ઉમેરે છે કે ' પહેલા જેએનયુમાં વૈચારિક લડાઇ લડતું એબીવીપી કેન્દ્રમાં નેતૃત્વ પરિવર્તન થતાની સાથે જ તે મારપીટ પર ઉતરી આવ્યું છે.' મોહિતના મતે એબીવીપીમાં ' હવે અમારુ કોઇ જ કંઇ ના બગાડી શકે'ની માન્યતા આવી ગઇ છે. જેને કારણે એક માથી એનો દીકરો દૂર કરી દેવાયો છે.
આ દરમિયાન હજુ સુધી નજીબ સાથે એની કોઇ જ ભાળ મળી નથી. જેએનયુમાં ડાબેરી વિચારધારાના ગઢના કાંગરા ખેરવવા એબીવીપી દ્વારા કરાઇ રહેલા પ્રહારો અને એને પહોંચી વળવા વામપંથી વિદ્યાર્થી દ્વારા કરાઇ રહેલા પ્રયાસોની લડાઇ વચ્ચે એક માનો દીકરો ગૂમ થઇ ગયો છે. એનું દર્દ કદાચ ટીવી પર બે મિનિટના ન્યૂઝ પેકેજમાં કે ચાર કોલમના આર્ટિકલમાં વ્યકત કરી શકાય એમ નથી. કદાચ એટલા માટે કે એ દર્દ, એ પીડાને જેએનયુના એડમિનિસ્ટ્રેશન, દિલ્હીની પોલીસ અને નીંભર કેન્દ્ર સરકારે હાથ મસળતા-મસળતા શિયાળાની ઠંડી સાથે ઉડાવી દીધું છે.
***
રાજ્ય અને લોકો વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઇએ. રાજ્ય એ તમારો જ એક ભાગ છે એ બતાવવા એણે સતત અહેસાસ કરાવવાનો રહે છે. જ્યારે બન્ને વચ્ચે આ અહેસાસમાં કમી આવે ત્યારે સ્થિતિ પીડાદાયક બની રહેતી હોય છે.
- રવિશ કુમાર
*અહીં માત્ર પીડિતનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે.
* TIMES INTERNET માટે કરેલી સ્ટોરીમાંથી...